Get The App

લારી ગલ્લાના દબાણના કારણે રસ્તો બ્લોક થઈ જતા સોસાયટીના રહીશોનો હોબાળો

સોસાયટીની મહિલાનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા સંબંધીઓને સોસાયટીમાં પ્રવેશવા મુશ્કેલી ઊભી થતા રહીશો વિફર્યા

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
લારી ગલ્લાના દબાણના કારણે રસ્તો બ્લોક થઈ જતા સોસાયટીના રહીશોનો હોબાળો 1 - image


માંજલપુરના સરસ્વતી ચાર રસ્તા પાસે લારી ગલ્લાના દબાણ અને આડેધડ પાર્કિંગના કારણે  સોસાયટીનો રસ્તો બ્લોક થઈ જતા સોસાયટીના રહીશોએ એકત્ર થઈ કાયમી ધોરણે રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માંજલપુરના સરસ્વતી ચાર રસ્તા નજીક આવેલ ધન લક્ષ્મી કોમ્પલેક્ષ ખાતે રહેતા કલ્પનાબેનનું નિધન થયું હતું. સંબંધીઓને આ અંગેની જાણ થતા તેઓ તેમના ધન લક્ષ્મી કોમ્પલેક્ષ ખાતેના નિવાસ્થાને પહોંચી રહ્યા છે. પરંતુ, લોકોને સોસાયટીમાં પ્રવેશતા  દરમ્યાન અવ્યવસ્થા ઊભી થતા સોસાયટીના રહીશોએ આજે શુક્રવારે રાત્રે ગેરકાયદેસર લારીના દબાણો સામે બાયો ચઢાવી દુકાનદારો તથા લારી ધારકોના ગ્રાહકોના વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ  સોસાયટીના રહીશોનું કહેવું છે કે, રાત્રે એક વાગ્યા સુધી અહીં ખાણીપીણીની લારીઓ શરૂ રહે છે, લોકો બર્થ ડે ઉજવવા અહીં આવે છે અને શોર મચાવે છે, દુકાનદારોએ પોતાની દુકાન આગળ લારીઓ ઉભી રખાવી છે, કેટલાક લોકો સોસાયટીના કોમન પ્લોટમાં ઘૂસી જાય છે, ગ્રાહકોના આડેધડ પાર્કિંગ થાય છે, અગાઉથી જ અહીં રસ્તો ખોદી નાખ્યો હોય રસ્તો સાંકડો છે, જેથી સોસાયટીના રહીશોને સોસાયટીમાં પ્રવેશવા માટે મુશ્કેલી ઉભી થાય છે. ઘણા સમયથી આ સમસ્યા હોય કોર્પોરેશન અને પોલીસને અનેક વખત રજૂઆત કરી છે, કોર્પોરેશન કાર્યવાહી કરી લારી લઇ જાય તેના બીજા દિવસે ફરી લારીઓ કાર્યરત થઈ જાય છે, આ સમસ્યાના કારણે ઇમરજન્સી વાહનો પણ સોસાયટીમાં પ્રવેશી શકતા નથી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.

Tags :