સોશિયલ મીડિયાનું વળગણ, અમદાવાદમાં 1 વર્ષમાં 2000થી વધુ દર્દીએ લીધી માનસિક રોગની સારવાર
(PHOTO - ENVATO) |
Social Media Addiction: અમદાવાદની એક હોસ્પિટલની ઓપીડીના વેઇટિંગ રૂમમાં અનેક બાળકો, કિશોર તેમજ યુવાન દર્દીઓ પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઇને બેઠા છે. તેમના ચહેરામાં એક પ્રકારની બેચેની જોવા મળી રહી છે. ના, તેઓ ડ્રગ્સની આદતના શિકાર નથી. પરંતુ તેમને સોશિયલ મીડિયાના વળગણની બીમારી છે. જેમ દારૂ કે ડ્રગ્સની લત્ત ધરાવનાર લોકોને તેના સેવન કર્યા વિના બેચેની અનુભવવા લાગે તેવી જ સ્થિતિ સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા આ દર્દીઓ ધરાવે છે. સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા આ દર્દીઓનું આ પ્રમાણ સતત વધી રહ્યું છે અને આજે ‘સોશિયલ મીડિયા ડે' છે ત્યારે આ બાબત એલાર્મ સમાન છે.
કિશોર-યુવાનો જ નહીં વૃદ્ધોમાં પણ સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ કરવાની કુટેવ
આજના સમયમાં ભાગ્યે જ કોઇનો એવો સ્માર્ટ ફોન હશે જેમાં સોશિયલ મીડિયાની એકપણ એપ ન હોય. દૂર રહેતા સ્વજન-મિત્રથી જીવંત સંપર્કમાં રહેવાના હેતુ સાથે સોશિયલ મીડિયાનો પ્રારંભ થયો હશે. પરંતુ હવે સોશિયલ મીડિયાથી દૂર રહેતી વ્યક્તિથી ભલે નીકટતા વધી હોય પણ ઘરના સદસ્યો સાથે જીવંત સંવાદ નહીં થઇ શકવાથી અનેક પરિવારોમાં જ અદ્રશ્ય દિવાલ જોવા મળી રહી છે. આમ, સોશિયલ મીડિયા બેધારી તલવાર જેવું સાબિત થઇ રહ્યું છે.
ફોલોઅર્સ નહીં વધવાથી ડિપ્રેશનના કેસ પણ વઘ્યા
સોશિયલ મીડિયાનું વળગણ દૂર કરવા માટે અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં ડીએડિક્શન સેન્ટરની જ વાત કરવામાં આવે તો તેમાં આવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 2021-22માં 116 દર્દીઓ ડિજિટલ ડિટોક્સ સેન્ટરમાં આવતા હતા અને તે સંખ્યા 2024-25માં વધીને 491 થઈ ગઈ છે. આ તો માત્ર સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલનો આંકડો છે. ખાનગી માનસિક આરોગ્ય હોસ્પિટલને આવરી લેવાય તો આંકડો બે હજારથી વધુ છે.
95% દર્દી 15થી 30 વર્ષની વયના
આ અંગે ગવર્મેન્ટ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના સુપ્રિટેન્ડન્ટ ડૉ. અજય ચૌહાણે જણાવ્યું કે, અમારે ત્યાં આવતા દર્દીઓ મોબાઇલના વળગણને કારણે સતત ગુસ્સો આવવો, ચીડિયાપણું, અધિરાપણું આવી જવા જેવી વિવિધ સમસ્યા ધરાવે છે. સોશિયલ મીડિયાના વળગણ માટે આવતા મોટાભાગના દર્દીઓ કિશોર કે યુવાન વયના છે. આ દર્દીઓને થોડા-થોડા સમયના અંતરે સોશિયલ મીડિયા પર એક્ટીવ નહીં થવાથી બેચેની થવા લાગે છે.
કેટલાક કિશોરો-યુવાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત કરવાથી ટોકવા બદલ માતા-પિતા પ્રત્યે વધુ આક્રમક થઇ ગયા હોય તેવી સમસ્યા સાથે પણ આવે છે. આ દર્દીઓને મનોચિકિત્સકોના વિવિધ સેશનથી તેમને સારવાર અપાય છે.
એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું કે, ‘અમારે ત્યાં એક કિશોરીને તેના માતા-પિતા લઇને આવ્યા હતા. આ કિશોરી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના એક કાલ્પનિક પાત્ર સાથે વાત ન કરી શકે તો તે બેચેની અનુભવતી. તેને વિવિધ કાઉન્સિલિંગ સેશન અપાયા પણ છતાં ફરક નહીં પડતાં હવે હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે.
કયા પ્રકારના દર્દી સારવાર માટે આવે છે?
કેસ - 1 :
12 વર્ષીય બાળક દિવસના 6-8 કલાક વીડિયો ગેમ રમતું હતું. હોમવર્ક પણ કરતું નહીં, વીડિયો ગેમ રમવાની ના પાડવામાં આવે તો ખૂબ જ ગુસ્સો આવતો, પૂરતી ઉંઘ પણ લેતું નહોતું. જેના કારણે આંખો અને માથામાં દુઃખાવો, પરિવારના અન્ય સભ્યો સાથે અળગાપણું, અભ્યાસમાં પણ પાછળ રહેવું જેવી સમસ્યા સર્જાઇ.
આ પણ વાંચો: 10 કરોડના ખર્ચે બનેલો રોડ પહેલા વરસાદે જ ધોવાઈ ગયો, ભરૂચમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી!
કેસ - 2 :
15 વર્ષીય બાળક કલાકો સુધી સોશિયલ મીડિયા પાછળ સમય ફાળવતું. સોશિયલ મીડિયાથી દૂર રહે તો બેચેની આવી જતી. ફોલોવર્સ હોય તેના કરતા લાઇક્સ ઓછી મળવી, ફોલોઅર્સ નહીં વધવાથી આત્મવિશ્વાસ તળીયે ગયો.
કેસ - 3 :
બાળકની 10 વર્ષની ઉંમર. રાત્રે મોબાઇલ કે ટીવી જુએ પછી જ ઉંઘ આવે. અપૂરતી ઉંઘથી એકાગ્રતનો અભાવ, મૂડમાં સતત ફેરફાર.
કેસ - 4 :
સોશિયલ મીડિયામાં પર જ સતત એક્ટીવ રહેવાને કારણે બહારના લોકો સાથે વાત કરવામાં 13 વર્ષીય બાળકને તકલીફ પડવા લાગી. કલાકો સુધી રૂમમાં પૂરાઇને મોબાઇલમાં જ મશગૂલ થઇ જવાની ટેવ.
કેસ - 5 :
16 વર્ષીય કિશોરથી માતા-પિતા મોબાઇલ દૂર કરી દે તો તેમની સાથે ઝઘડો કરવા લાગે. અપૂરતી ઉંઘ, અભ્યાસમાં પાછળ પડવું જેવી સમસ્યા.