ટ્રેનના એસી કોચમાં સાપ હોવાના મેસેજથી પ્રવાસીઓમાં ગભરાટ
વન વિભાગ દ્વારા ચેકિંગ બાદ સાપ ના હોવાનું જણાયું ઃ ૨૦ મિનિટ બાદ ટ્રેનને રવાના કરાઇ
વડોદરા, તા.24 વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી એક ટ્રેનના એસી કોચમાં સાપ છે તેવા સંદેશાના પગલે ટ્રેનને રોકીને ચેકિંગ હાથ ધરાતા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો જો કે તપાસ બાદ ટ્રેનમાં સાપ નહી હોવાનું જણાતા ટ્રેનને રવાના કરાઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે ગાંધીઘામથી બેંગ્લોર તરફ જતી ટ્રેનના એસી કોચમાં સાપ છે તેવો મેસેજ રેલવે તંત્રને મળ્યો હતો જેના પગલે વનવિભાગને જાણ કરતા સ્ટાફ રેલવે સ્ટેશન પર પહોંચી ગયો હતો. બપોરે સવા ચાર વાગ્યાની આસપાસ ટ્રેન આવતાં ટ્રેનના એસી કોચમાંથી પ્રવાસીઓને બહાર કાઢી આખા કોચમાં તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ સાપનો પત્તો મળ્યો ન હતો.
ટ્રેનના એક જ કોચમાંથી પ્રવાસીઓને બહાર કઢાતા પ્રવાસીઓમાં કુતૂહલ વ્યાપ્યું હતું જ્યારે આ કોચમાં મુસાફરી કરતા પ્રવાસીઓમાં ગભરાટ પણ ફેલાયો હતો. ૨૦ મિનિટ સુધી કોચમાં ચેકિંગ હાથ ધર્યા બાદ સાપ અંદર નહી હોવાનું પ્રસ્થાપિત થયું હતું અને બાદમાં ટ્રેનને આગળ જવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં ટ્રેનનું પાંચ મિનિટ સ્ટોપેજ વડોદરા રેલવે સ્ટેશન પર હોય છે પરંતુ સાપના ચેકિંગના પગલે ટ્રેન ૨૦ મિનિટ રોકાયા બાદ પ્લેટફોર્મ પરથી રવાના કરવામાં આવી હતી.