જામનગરમાં પટેલ કોલોની સ્થિત બંગલામાં તસ્કરોનો હાથફેરો : 2.55 લાખની માલમતા ઉઠાવી ગયા
Jamnagar Theft Case : જામનગરની આરામ હોટલના સંચાલીકા મહિલાના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા માતા-પિતાના બંધ મકાનને કોઈ તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ હાથફેરો કરી લીધો હતો અને 2,25,000ની કિંમતના ઘરેણા અને 30,000 ની રોકડ રકમ સહિત 2,55,000 ની માલમતા ચોરી કરી ગયાની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે પોલીસે કેટલાક શકમંદ ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે.
જામનગરની આરામ હોટલના સંચાલિકા હીનાબેન દીપકભાઈ ભટ્ટ જેવો પોતાની સાથેના કેરટેકર ચેતનાબેન સાથે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી જઈ પોતાના માતા પિતાનો બંગલો પટેલ કોલોની શેરી નંબર ત્રણમાં આવેલો છે, જે અમૃતકુંજ નામના મકાનમાં ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
તસ્કરોએ તા.17.6.2025 થી ગઈકાલ સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે મુખ્ય દરવાજા તેમજ અંદરના રૂમના લોક વગેરે તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને મકાનમાં રાખેલી રૂપિયા 30,000 ની રોકડ રકમ ઉપરાંત 2,25,000ની કિંમતના સોનાના ઘરેણા વગેરે મળી કુલ રૂપિયા 2,55,000ની માલમતા ચોરી કરી ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
આ બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી છે અને ગણતરીના કલાકોમાં જ ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.