Gujarat

ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

By GS TEAM
5 Jun 20261 min read
ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

કાકા અને ભત્રીજાના મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૃ.૮૫ હજારના મત્તાની ચોરી

ભાવનગરઉમરાળાના ગરાસિયા શેરીના બે બંધ મકાનમાંથી અજાણ્યા ઈસમોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃ.૮૫ હજારના મત્તાની ચોરી કર્યાં અંગેની પોલીસ ફરિયાદ ઉમરાળા પોલીસ મથકમાં નોંધાઈ છે.

ઉમરાળાની ગરાસિયા શેરીમાં રહેતા વિક્રમભાઈ ધનજીભાઈ ડાભી ગત તા.૧૬-૫ના રોજ અમદાવાદ ખાતે તેમના દિકરાના ઘરે ગયા હતા. તા.૧૬-૫થી ૨૦-૫ના સમયાગાળા દરમિયાન તેમના બંધ મકાનના અજાણ્યા ચોર ઈસમોએ તાળા તોડી કબાટનો લોક તોડી કબાટમાં રાખેલા સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી કુલ રૃ.૬૬ હજારના મત્તાની ચોરી કરી હતી. જ્યારે તેમના ભત્રીજા પ્રણવભાઈના રૃમના તાળા તોડી કબાટમાંથી ઘરેણાં, રોકડ અને ઘડિયાળ મળી કુલ રૃ.૧૯ હજારની મત્તાની ચોરી કરી હતી. આમ, કાકા અને ભત્રીજાના ઘરમાંથી ચોરોએ કુલ રૃ.૮૫ હજારના મત્તાની ચોરી કરી હતી. આ અંગે વિક્રમભાઈ ધનજીભાઈ ડાભીએ ઉમરાળા પોલીસ મથકમાં અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.