જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 11 આંગણવાડીને નિશાન બનાવતા તસ્કરો : ગેસના બાટલા, તેલના ડબા ઉઠાવી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : જામનગર જિલ્લામાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 11 જેટલી આંગણવાડીમાં રાંધણ ગેસના બાટલા તથા અન્ય સામગ્રીની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે ફરિયાદના અનુસંધાને એલસીબીની ટુકડીએ એક શકમંદને ઉઠાવી લીધો છે. જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવા આવી રહી છે, અને તેના માધ્યમથી તમામ ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.
જામનગર તાલુકાના સિક્કા, રાવલસર સહિતની આંગણવાડી ઉપરાંત લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અલગ અલગ ચાર આંગણવાડી, ઉપરાંત મેઘપર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલી આંગણવાડી સહિત કુલ 11 આંગણવાડી કેન્દ્રમાં ગેસના બે નંગ બાટલા અથવા તેલના ડબ્બા સહિતની સામગ્રીની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન, સિક્કા પોલીસ મથક, લાલપુર પોલીસ મથક અને મેઘપર પડાણા પોલીસ મથકમાં કુલ 11 પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, અને અલગ-અલગ સમયગાળા દરમિયાન રાત્રિના કોઇ તસ્કરો આંગણવાડીના તાળા તોડી અંદર પ્રવેશ મેળવી રાંધણ ગેસના બાટલા તેમજ અન્ય ખાદ્ય સામગ્રી જે હાજર હોય તેની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણમાં એલસીબીની ટુકડીએ તપાસમાં ઝુકાવ્યું છે, અને એક શકમંદને ઉઠાવી લીધો છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ રહી છે. જેના દ્વારા ઉપરોક્ત તમામ ચોરી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, અને નજીકના ભવિષ્યમાં ઉપરોક્ત તમામ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.









