જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટના એક વેપારીના બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી દિવાળીનો મોટો ધનલાભ મેળવતા તસ્કરો

જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટના એક વેપારીના એક રાત્રી માટે બંધ રહેલા મકાનને નિશાન બનાવી લીધું હતું અને મકાનમાંથી રૂપિયા સાડા છ લાખની રોકડ રકમ અને અઢી લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના સહિત રૂપિયા 9,02,000ની માલમત્તાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. અને સિટી એ. ડિવિઝન તથા એલ.સી.બી.ની પોલીસ ટુકડી દોડતી થઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક પાછળ વૃંદાવન સોસાયટી શેરી નંબર -1માં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા તરુણભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠા નામના 46 વર્ષના લોહાણા વેપારી કે જેઓએ ગત તા 16ના રાત્રિના 11:30 વાગ્યાથી 17.10.2025ના વહેલી સવારે આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દઈ અંદરથી રૂપિયા 9 લાખની માલમત્તાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી તરૂણ ભાઈના નાનાભાઈ કે જેઓ જામનગરમાં અન્ય સ્થળે રહે છે, અને તેઓ એક દિવસ માટે બહારગામ ગયા હોવાથી તરુણભાઈ પોતાના પત્ની અને બાળકો સાથે નાના ભાઈ ના ઘેર કે જ્યાં માતા એકલા હોવાથી એક રાત્રીનું રોકાણ કર્યું હતું.
જે દરમિયાન પાછળથી તેમના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી ળીધું હતું, અને કબાટમાં રાખેલી રૂપિયા સાડા છ લાખની રોકડ રકમ તેમજ પોતાની પત્ની નું સોનાનું મંગળસૂત્ર, બુટીયા,વિટી, પેન્ડન્ટ સેટ સહિતના દાગીના કે જેની કિંમત ૨,૫૨,૦૦૦ જેટલી થાય છે, જે મળી કુલ 9,02,000ની માલમતા કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, આ ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તેમજ એલસીબી ની ટુકડી વગેરેએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.