નડિયાદના મકાનમાંથી તસ્કરો 1.65 લાખની મત્તા ચોરી ગયા
- મનજીપુરાની સાગર પાર્ક સોસાયટીની ઘટના
- પરિવાર અમદાવાદ હોસ્પિટલમાં ગયો હતો ત્યારે તસ્કરો દાગીના, રોકડ લઈ પલાયન
નડિયાદ મંજીપુરા રોડ પર આવેલી સાગર પાર્ક સોસાયટીમાં રજનીકાંત ખુશાલભાઈ સોલંકી મફતલાલ મિલમાં નોકરી કરે છે. તેઓને કેન્સરની બીમારી હોવાથી બાપુનગર અમદાવાદ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરેલા છે. જેથી પરિવારજનો મકાનને તાળું મારી હોસ્પિટલમાં રોકાયેલા હતા. ત્યારે તા.૯/૫/૨૫ની રાત્રે કોઈ તસ્કરો બંધ મકાનની લોખંડની જાળીનું તાળું નકુચા સાથે તોડી અંદર પ્રવેશ્યા હતા.
તસ્કરોએ મકાનમાં ચીજ વસ્તુઓ વેર વિખેર કરી નાખી હતી તેમજ તિજોરી તોડી અંદરનું લોકર તોડી તેમાં મુકેલ સોનાનો સેટ, બુટ્ટી, લોકેટ, વીંટી મળી કુલ રૂ.૯૯,૦૦૦ના સોનાના દાગીના, ચાંદીની ગણપતિની મૂત તથા પાયલ કિંમત રૂ.૬,૦૦૦ તેમજ રોકડ રૂ.૬૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૬૫,૦૦૦ની મત્તા ચોરી ગયા હતા.
આ બનાવ અંગે મનીષાબેન રજનીકાંત સોલંકીએ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.