- રૂા. 1.80 લાખની રોકડ, દાગીના ચોરાયા
- પરિવાર સવારે 5 વાગ્યે ચોટીલા દર્શનાર્થે ગયો, બપોરે 3.15 કલાકે પરત ફર્યો ત્યાં ઘરમાં ચોરી
નડિયાદ : નડિયાદ મનજીપુરા રોડ પર આવેલી બાલાજી પાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર ગઈકાલે વહેલી સવારે પાંચ વાગે ચોટીલા મંદિરે દર્શનાર્થે ગયો હતો. ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા. ૬.૪૪ લાખની મત્તા ચોરી પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ મનજીપુરા રોડ ઉપર આવેલી બાલાજી પાર્ક સોસાયટીમાં ભાવેશભાઈ જયંતીભાઈ મકવાણા પરિવાર સાથે રહે છે. તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે સવારે ભાવેશભાઈ મકાનને તાળું મારી પોતાની ગાડીમાં પરિવારજનોને લઈ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તેઓ દર્શન કરી બપોરે ૩ઃ૧૫ વાગે પરત ઘરે આવ્યા ત્યારે દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું હતું. મકાનમાં નીચે તેમજ ઉપરના માળે રૂમોમાં તપાસ કરતા તિજોરી તેમજ કબાટમાં મુકેલ સામાન વસ્તુઓ વેર વિખેર પડેલી હતી. તસ્કરો તિજોરીનું તેમજ કબાટનું લોક તોડી અંદર મુકેલી સોનાની ચેન નંગ ચાર, સોનાની બુટ્ટી નંગ બે, ચાંદીના છડા, સોનાની વીંટીઓ, ચાંદીની લકી મળી રૂ. ૪,૬૪,૩૧૯ તેમજ રોકડ રૂ.૧,૮૦,૦૦૦ મળી કુલ રૂ.૬,૪૪,૩૧૯ ની મતા ચોરી ગયા હતા.
આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ભાવેશભાઈ જયંતીભાઈ મકવાણાની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


