જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના મોટા ઇટાળા ગામમાં આવેલા રામ મંદિર, મેલડી માતાજીના મંદિર, તેમજ સુરાપુરા દાદા ના મંદિર સહિત એકી સાથે ત્રણ ધાર્મિક સ્થળોને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધા હતા, અને અંદરથી રૂપિયા 38 હજારના આભૂષણોની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કદ ધ્રોળ તાલુકાના મોટા ઇટાળા ગામમાં આવેલા મેલડી માતાના મંદિરને ગત નવમી તારીખે કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી માતાજીના ચાંદીના છત્તર અને બે ચાંદીની છરી કે જેની ચોરી કરી લઈ ગયા હતા.
આ ઉપરાંત બાજુમાં આવેલા એક રામ મંદિરને નિશાન બનાવી લઈ ત્યાંથી ભગવાન શ્રીરામના ચાંદીના છત્તર ની ચોરી કરી ગયા હતા, તે ઉપરાંત નજીકમાં જ આવેલા એક સુરાપુરા દાદા ના મંદિર નું તાળું તોડી તેમાંથી પણ એક ચાંદીનું છત્તર ચોરી કરી લઈ ગયા હતા.
ચોરીના આ બનાવ અંગે ગામના સરપંચ ઉષાબેન ભંડેરીના પતિ વિજયભાઈ બાબુભાઈ ભંડેરીએ ધ્રોલ પોલીસ મથકમાં ઉપરોક્ત ત્રણેય ધાર્મિક સ્થળોમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા એ બનાવ ના સ્થળે દોડી જઇ તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.


