Gujarat

વિરમગામના શિવપુરા ગામમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરા

By GS TEAM
14 Sep 20251 min read
વિરમગામના શિવપુરા ગામમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરા

- પરિવાર દવાખાનાના કામ અર્થે કડી ગયો હતો

- તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ. 4.69 લાખની મત્તા લઇ તસ્કરો ફરાર

વિરમગામ : વિરમગામ તાલુકાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામમાં બંધ મકાનમાં ચોરી કરી તસ્કરો રૂ.૪.૬૯ લાખના સોના ચાંદીના દાગીના, રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મકાન માલિકે અજાણ્યા તસ્કરો સામે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શિવપુરા ગામના પટેલ વાસમાં રહેતા મંજુલાબેન નરસિંહભાઈ પટેલના પુત્ર મીતને પગે ફેક્ચર ખોલાવવા કડીની હોસ્પિટલમાં પરિવાર ?ઘર બંધ કરીને ગયા હતા. બીજા દિવસે કડીથી પરત સવારમાં ઘરે પહોંચ્યા ત્યારે ઘરના દરવાજાના તાળા તૂટેલા હતા. ઘરમાં રાખેલો ઘરવખરીનો સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો. તિજોરી ખુલ્લી હતી.

તિજોરીના હડફામાં મૂકેલા સોનાનું મંગળસૂત્ર, ત્રણ વીટી, સોનાનું એક પેન્ડલ, સોનાની કાનની સાકરી, બુટ્ટીના કાનના લટક, સોનાના કડિયા, ચાંદીનો ઝુડો, ચાંદીની ગણપતિજી લક્ષ્મીજી બે મૂત, અને ચાંદીના છડા, રોકડ રૂ.૩૦,૦૦૦, શક્તિ માતાજીના મંદિરમાંનો પંખો અને ત્રણ ગ્રામનો હાર મળી કુલ રૂ. ૪,૬૯,૦૦૦ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ વિરમગામ ગ્રામ્ય પોલીસને કરતા ઘટના સ્થળે આવી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.