મેટ્રો-સિટકોને સુરત પાલિકાની કડક ચેતવણી : બિનજરૂરી બેરિકેડ હટાવો, તૂટેલા રસ્તા તાત્કાલિક રીપેર કરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : ચોમાસું માથે આવી પહોંચ્યું છે છતાં સુરત શહેરમાં મેટ્રો અને સિટકોની અધૂરી કામગીરી હજુ પણ નાગરિકો માટે માથાનો દુખાવો બની રહી છે. ગત વર્ષે વરસાદ દરમિયાન ખાડા, પાણી ભરાવા, તૂટેલા રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, પરંતુ અનેક સ્થળોએ આજે પણ સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. આ જ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે અધિકારીઓની બેઠકમાં મેટ્રો અને સિટકો સામે સવાલોની ઝડી વરસાવી હતી.
તૂટેલા રસ્તા અને નુકસાન પામેલી ડ્રેનેજ-પાણીની લાઈન અંગે જવાબદારી નક્કી કરવાની સાથે શાસકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ચોમાસા દરમિયાન ફરી એકવાર નાગરિકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવશે તો તેની જવાબદારી સીધી સંબંધિત એજન્સીઓની રહેશે. સુરતમાં ચોમાસાના આગમનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીની સાથે વરસાદી સિઝનમાં વાહનચાલકો અને રાહદારીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે બુધવારે સવારે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન, મેયર માયાબેન માવાણી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના તમામ ઝોનના અધિકારીઓ ઉપરાંત મેટ્રો અને સિટકોના જવાબદાર અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન ગત ચોમાસામાં શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. શાસકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મેટ્રોની કામગીરી દરમિયાન અનેક સ્થળોએ પાલિકાની પાણીની લાઈનો, ડ્રેનેજ નેટવર્ક તેમજ રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. સૌથી ચિંતાજનક બાબતએ હતી કે અગાઉ આ તમામ નુકસાનની મરામત માટે સૂચના આપવામાં આવી હોવા છતાં હજુ સુધી અનેક સ્થળોએ કામગીરી પૂર્ણ થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન મેટ્રોના અધિકારીઓએ તૂટેલા રસ્તાઓના સમારકામ માટે ડામરનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને શાસકોએ માત્ર મૌખિક ખાતરીથી સંતોષ માન્યો ન હતો. અધિકારીઓને કેટલો ડામર મંગાવવામાં આવ્યો છે, કઈ એજન્સીને ઓર્ડર આપવામાં આવ્યો છે અને કયા વિસ્તારોમાં કામગીરી શરૂ થવાની છે તેની વિગતવાર માહિતી રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સવાલોના કારણે મેટ્રોના અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળે છે.ચોમાસા દરમિયાન ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યા વધુ વિકરાળ ન બને તે માટે બેઠકમાં ખાસ ભાર બેરિકેડિંગના મુદ્દા પર મૂકવામાં આવ્યો હતો. શાસકોએ મેટ્રો અને સિટકોના અધિકારીઓને સ્પષ્ટ તાકિદ કરી હતી કે જ્યાં કામગીરી ચાલી રહી હોય અને સુરક્ષાના દૃષ્ટિકોણથી બેરિકેડ જરૂરી હોય ત્યાં જ તેને યથાવત રાખવામાં આવે. જ્યારે જે સ્થળોએ હાલ કામગીરી ન ચાલી રહી હોય અથવા બેરિકેડિંગની જરૂરિયાત ન હોય ત્યાંથી તાત્કાલિક અસરથી બેરિકેડ હટાવી લેવામાં આવે. આ પગલાથી ટ્રાફિકની સમસ્યા ઘટાડવામાં અને વાહનચાલકોને રાહત આપવામાં મદદ મળશે. બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે શહેરના ચારેય ઝોનમાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે તમામ સ્થળોની સંયુક્ત મુલાકાત લેવામાં આવશે. પાલિકાના અધિકારીઓ, મેટ્રો અને સિટકોના પ્રતિનિધિઓ સ્થળ પર જઈ વાસ્તવિક સ્થિતિનો અભ્યાસ કરશે અને તેની વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે. આગામી એક સપ્તાહ દરમિયાન જે સુધારાત્મક કામગીરી કરવામાં આવશે તેની ‘બિફોર અને આફ્ટર’ સ્થિતિની તુલના કરીને પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. એક સપ્તાહ બાદ મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા સંયુક્ત રાઉન્ડ યોજવામાં આવશે. આ દરમિયાન અગાઉ આપવામાં આવેલી સૂચનાઓનું પાલન થયું છે કે નહીં, રસ્તાઓના સમારકામ, ડ્રેનેજ અને પાણીની લાઈનોની મરામત તથા બેરિકેડિંગ ઘટાડવા અંગે શું કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ એજન્સી બેદરકારી દાખવતી જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.








