ચોમાસાના આગમન પહેલા સુરત પાલિકાના શાસકોને ખાડી કિનારાના દબાણ યાદ આવ્યા
Surat Corporation : સુરતમાંથી પસાર થતી ખાડી મીંઢોળા નદીને મળે છે ત્યાં ઝીંગાના તળાવ હોવાથી પૂરની શક્યતા હોવાનો મેયેર પત્ર લખ્યા બાદ હવે પાલિકાના ડ્રેનેજ કમિટીના અધ્યક્ષે ખાડી સફાઈની કામગીરીની મુલાકાત લેતા ખાડી કિનારે દબાણ દેખાયા હતા. આ દબાણને કારણે પૂરની સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરીમાં મુશ્કેલી પડે તેમ હોવાથી આ દબાણ તાકીદે દુર કરવા માટે તંત્રને તાકીદ કરી છે.
સુરત જિલ્લામાંથી આવતી અને સુરતમાંથી પસાર થઈ મીંઢોળા નદીને મળતી ખાડીમાં દબાણ અને અન્ય સમસ્યાઓ સામે ચોમાસા પહેલા જ કામગીરી કરવામાં આવે છે. આખુ વર્ષ આ ખાડી માટે કોઈ કામગીરી થતી નથી ચોમાસાને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે જ કામગીરી થતી હોવાથી પૂરની સ્થિતિમાં લોકો સાથે પાલિકાને પણ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ખાડી મીઢોળા નદીને મળે છે ત્યાં લાંબા સમયથી ઝીંગાના દબાણ છે તે નહી દૂર નહી કરતા હાલ સુરતના મેયરે કલેક્ટરને પત્ર લખી આ દબાણો દુર કરવા માટે રજૂઆત કરી હતી.
ત્યાર બાદ આજે ખાડી સફાઈની કામગીરી થઈ રહી હતી ત્યારે ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ કેયુર ચપટવાલા સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન ખાડી કિનારા પર દબાણ અને અન્ય સમસ્યાઓ નિહાળી હતી. જેમાં ખાડી પુરના જોખમ દરમિયાન ખાડી કિનારે ઉભા કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે ખાસ તાકીદ કરી હતી. આ ઉપરાંત ખાડીમાં માસા દરમિયાન ખાડીનું વહેણ ન અટકે તે માટે ખાસ તકેદારી રાખવામાં સુચના આપવામા આવી છે. ખાડી કિનારાના દબાણ અને ખાડીમાં કચરાનું પુરાણ હોય છે તેથી ખાડી પુર આવે છે અને અનેક લોકો અસરગ્રસ્ત થાય છે આ ઉપરાંત પાલિકા રાહત અને બચાવ કામગીરી કરે છે ત્યારે પણ મુશ્કેલી થાય છે તેથી આ દબાણો હટાવવા માટે પણ સૂચના આપી છે.