સંચાલન પર નિયંત્રણ ગુમાવી દઈશુ તેવા ડરથી નાના ઉદ્યોગો આઈપીઓ લાવતા ખચકાય છે
વડોદરાઃ વિસ્તરણ માટેની મૂડી ઉભી કરવા માટે આઈપીઓ સારો રસ્તો છે પરંતુ પોતાનું નિયંત્રણ જતું રહેશે તેવા ડરથી નાના ઉદ્યોગો આઈપીઓ લાવતા ખચકાય છે તેમ દેશના ઔદ્યોગિક અને વેપારી સંગઠન એસોચેમ( ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઈન્ડિયા)ના કો ચેરમેન અબાની ઝાએ એક વાતચીતમાં કહ્યું હતું.
વડોદરાના સંગઠનો બરોડા મેનેજમેન્ટ એસોસિએશન, સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ દ્વારા નાના ઉદ્યોગોને આઈપીઓ કેવી રીતે લાવી શકાય તેની જાણકારી આપવા માટે એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
જેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહેલા અબાની ઝાએ કહ્યું હતું કે, ૨૦૧૨થી સરકારે નાના ઉદ્યોગોને શેર બજારમાં પોતાની કંપનીને લિસ્ટ કરાવવાની તક આપતી સ્કીમ અમલમાં મૂકી છે.નાના ઉદ્યોગકારોને ભંડોળ માટે બેન્ક લોન લેવી હોય તો નિયમોના ઘણા કોઠા ભેદવા પડે છે.લોનનું વ્યાજ પણ ચૂકવવું પડે છે.તેની સરખામણીએ આઈપીઓ થકી નાના ઉદ્યોગો વિસ્તરણ માટે સરખામણીએ આસાનીથી ભંડોળ ઉભું કરી શકે છે.આમ છતા અત્યાર સુધીમાં માત્ર ૧૦૦૦ જેટલી એસએમઈ શેરબજારમાં લિસ્ટ થઈ છે.જેમાંથી પણ ૨૩૭ કંપનીઓ છેલ્લા એક વર્ષમાં જ આઈપીઓ લાવી છે.
તેમણે કહ્યું હતું કે, ભારતની મોટાભાગની એસએમઈનું સંચાલન કોઈ એક પરિવારના સભ્યો દ્વારા થતું હોય છે અને તેમને લાગે છે કે, આઈપીઓથી ભંડોળ એકત્રિત કરીશું તો કંપની પરનું નિયંત્રણ ગુુમાવી દઈશું.નાના ઉદ્યોગકારોએ આ માનસિકતા બદલવાની જરુર છેતેની સાથે સાથે સરકારે અને ઔદ્યોગિક સંગઠનોએ નાના ઉદ્યોગોને આઈપીઓના કારણે શું ફાયદો થઈ શકે છે તે અંગે જણાવવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવાની જરુર છે.