Gujarat

કમોસમી વરસાદનું પાણી ભરાતા કચ્છનું નાનું રણ દરિયામાં ફેરવાયું

By GS TEAM
6 Nov 20251 min read
કમોસમી વરસાદનું પાણી ભરાતા કચ્છનું નાનું રણ દરિયામાં ફેરવાયું

અગરિયાઓએની વળતર આપવાની માંગ

મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલો પણ પાણીમાં ગરકાવ થતા નુકસાન

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા પંથકમાં કમોસમી વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. માવઠાના લીધે ખેડૂતોની સાથે સાથે રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓને પણ મોટું નુકસાન ભોગવવાનો વારો આવતા હાલત કફોડી બની છે.

દિવાળી બાદ મીઠું પકવવાની સિઝન શરૃ થાય છે. મીઠું પકવતા અંદાજે ૧૨૦૦થી વધુ પરિવારો કચ્છના નાના રણમાં પ્રવેશ કરી હજુ તો મીઠું પકવવા માટેના પાટા તૈયાર કરી રહ્યા હતા ત્યાં જ સતત સાત દિવસ સુધી અવિરત કમોસમી વરસાદ પડતા મીઠાના પાટા ધોવાતા અગરિયાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. અગરિયાઓને જેટલી ઘર વખરી હાથ લાગી એટલી લઈને ફરીથી રણકાંઠાના ગામડાઓમાં પરત ફરવાનો વારો આવ્યો હતો. અમુક અગરિયા પરિવારોની ઘરવખરી તો પાણીમાં જ ગરકાવ થઈ જતા હાલત અત્યંત દયનિય બની ગઈ હતી. આમ મીઠાના તૈયાર પાટા પર કમોસમી વરસાદી પાણી ફરી વળતા અગરિયાઓને પણ મોટું નુકસાન થયું છે ત્યારે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો સરકાર પાસે ખેડૂતોની માફક નુકસાનીનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.