રૈયામાં ઝુપડાં, પૂર્વ ઝોનમાં સુપરમાર્કેટ સહિતના કોંક્રિટના બાંધકામો હટાવાયા
મામલતદાર અને મનપા કચેરી દ્વારા ડિમોલીશન પશ્ચિમ મામલતદારે 30 કરોડની જમીન ખુલ્લી કરાવી : ઈસ્ટ ઝોન T.P. દ્વારા 3 માળનું કોમ.બાંધકામ, મોરબી રોડ પર 2 દુકાનો તોડી પડાયા
રાજકોટ, : રાજકોટમાં ચોમાસા પૂર્વે ડિમોલીશન જારી રહ્યું છે જેમાં કલેક્ટર કચેરીના તંત્ર દ્વારા આજે રૈયા વિસ્તારમાં ઝુપડાં સહિતનો 6500 ચો.મી.જમીન પરનું દબાણ દૂર કરાયું હતું જ્યારે મનપાના ઈસ્ટઝોન ટી.પી.વિભાગ દ્વારા દુકાનો સહિત કોંક્રિટના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા હતા.
પશ્ચિમ મામલતદાર અજીત જોષી દ્વારા રૈયા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને જે.સી.બી.સાથે ધસી જઈને ટી.પી.-22ના સર્વે નં. 318 પૈકીની આશરે રૂ।.૩૦ કરોડની કિંમતની 6500 ચો.મી.જમીન પર વર્ષોથી ખડકાયેલા ઝુપડાં, ઢોર બાંધવાના વાડા તેમજ એક શખ્સે ત્યાં ખડકી દીધેલ સર્વિસ સ્ટેશન સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
મહાપાલિકાના કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શનમાં ટી.પી.વિભાગ દ્વારા વોર્ડ નં. 16 માં પુનીત સોસાયટી મેઈનરોડ પર સંજના ફર્નીચરની બાજુમાં બે માળનું આર.સી.સી. અને ત્રીજા માળે પતરાંના શેડનું તોતિંગ ગેરકાયદે બાંધકામ ગઈકાલે મોડી સાંજ સુધીમાં તોડી પડાયું હતું. આ ઉપરાંત આજે વોર્ડ નં. 4માં રાધા-મીરાં મેઈનરોડ, સેટેલાઈટ ચોક, મોરબી રોડ પર આવેલ સુપરમાર્કેટ સહિતની 2 દુકાનો ગેરકાયદે ખડકાઈ ગઈ હોય તેના પર બુલડોઝર ફેરવી દેવાયું છે.