Gujarat

ગાંધીનગર સંત સરોવરના છ દરવાજા ખોલી ૧૩ હજાર ક્યુસેક પાણી છોડાયું

By GS TEAM
23 Aug 20252 mins read
ગાંધીનગર સંત સરોવરના છ દરવાજા ખોલી ૧૩ હજાર ક્યુસેક પાણી છોડાયું

ધરોઇ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી પહોંચે તે પહેલા

૪૯ હજાર ક્યુસેક પાણી ધરોઇ ડેમથી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું ઃ પરોઢિયે પાણી ગાંધીનગર પહોંચી જશે

ગાંધીનગર :  ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે નદી, તળાવ અને જળાશયો છલકાઈ ગયા છે. આ પરિસ્થિતિમાં સાબરમતી નદી પરનો ધરોઈ ડેમ પણ એલર્ટ મોડ પર છે. ડેમમાં પાણીની આવક વધતાં આજે બપોરે પાણી છોડવાની ફરજ પડી હતી, જેના પગલે આજે સવારથી જ સંત સરોવરમાં પાણીનું સ્તર ઘટાડવા માટે તબક્કાવાર દરવાજા ખોલવામાં આવ્યા હતા.

શનિવારે બપોરે ધરોઈ ડેમમાંથી ૪૯ હજાર  ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. આ પાણી મોડી રાત્રે અથવા વહેલી સવારે ગાંધીનગર પહોંચે તે પહેલાં જ તંત્રએ આગમચેતીના પગલાં ભરવાનું શરૃ કરી દીધું છે. સંત સરોવરમાંથી પાણીનો પ્રવાહ જાળવી રાખવા માટે તેના છ દરવાજા ખોલીને ૧૩,૧૫૧ ક્યુસેક પાણી ધોળેશ્વર, ભાટ એટલે કે, અમદાવાદ તરફ છોડવામાં આવ્યું છે.

સાંજે ૬ વાગ્યા આસપાસ સંત સરોવરના છ દરવાજા ખોલવામાં આવ્યા હતા. તેમાંથી પાંચ દરવાજા પાંચ-પાંચ ફૂટ અને એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો. આ પાણી સીધું વાસણા બેરેજ તરફ જઈ રહ્યું છે, અને વાસણા બેરેજમાંથી પણ પાણીનું સ્તર ઘટાડવા માટે આગળ પાણી છોડવામાં આવી રહ્યું છે.ધરોઈ ડેમ અને સંત સરોવરમાં પાણીની આવક અને જાવક પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ પરિસ્થિતિમાં સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત કાર્યરત છે.ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત હોવાથી આગામી દિવસોમાં પણ આ પ્રકારના પાણીના નિકાલની કાર્યવાહી ચાલુ રહી શકે છે.