લો કર લો બાત! વડોદરા ભાજપ પ્રમુખ દ્વારા નવો અભિગમ : સિંદૂર સન્માન યાત્રા અભિનંદન સમારોહના કાર્યક્રમથી ફરી ભાજપમાં ભાંજગડ
Vadoadra : વડોદરાની મુલાકાતે પ્રધાનમંત્રીનું આગમન થવાનું હોય તે પૂર્વે કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર હોય કે ભાજપનું સંગઠન હોય તે પૂર્વ તૈયારી કરવા બેઠકો યોજતી હોય છે તે બાદ કોઈ બેઠક યોજાતી ન હતી. પરંતુ નવા શહેર પ્રમુખે નવી પ્રણાલિકા શરૂ કરી કરી છે અને સિંદૂર સન્માન યાત્રા અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
વડોદરા શહેર પ્રમુખ દ્વારા સિંદૂર સન્માન યાત્રા અભિનંદન સમારોહ અંગે જે અપેક્ષિત હતા તેવા વ્યક્તિને મેસેજ મોકલવામાં આવ્યા હતા. જેમાં ખાસ નોંધ મૂકવામાં આવી હતી કે, આ સૂચના આપ પૂરતી છે જેથી કોઈ ગ્રુપમાં કે અન્ય કોઈને ફોરવોર્ડ કરવી નહીં. જેને કારણે વિવાદ સર્જાયો હતો કે પ્રધાનમંત્રી ના કાર્યક્રમ દરમિયાન પ્રદેશના હોદ્દેદારો હોય કે અલગ અલગ મોરચાના આગેવાનો હોય કે પછી વોર્ડના પ્રભારી હોય તેઓએ પણ કાર્યક્રમ સફળ થાય તે માટે કામગીરી કરી છે તેમ છતાં તેઓની બાદબાકી કરી દેવામાં આવી હતી. જ્યારે માત્ર કોર્પોરેટરો, વોર્ડના પદાધિકારીઓ,ધારાસભ્યો માજી ધારાસભ્યો અને પૂર્વ સંસદ સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી ના કાર્યક્રમ પાછળ કોર્પોરેશનને અંદાજે ચારથી પાંચ કરોડનો ખર્ચ કરી ઓપરેશન સિંદૂર ની સફળતાની જાણકારી માટે ઠેર ઠેર રોશની તેમજ સ્ટેજ બેનરો લગાવી પ્રધાનમંત્રીને આવકારવાની કામગીરી કરી હતી એટલું જ નહીં જનમેદની એકઠી કરવામાં પણ કોર્પોરેશન કલેક્ટર કચેરી જેવા વહીવટી તંત્ર એ પણ બસો દોડાવી લોકોને મીની રોડ શોમાં હાજરી આપવા વ્યવસ્થા ગોઠવી હતી.
પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં 30000 થી 35000 લોકો અભીવાદન કરવા સવારે છ વાગ્યાના આવીને ઊભા રહ્યા હતા. તદુપરાંત કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા એનસીસી મિલિટરી અને કોર્પોરેશનના બેન્ડનું પણ આયોજન કરી પ્રધાનમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
નવા પ્રમુખે પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળતા મળી તેનો યશ તમામ કાર્યકર્તાઓને તેમજ વહીવટી તંત્રના પદાધિકારીઓ અધિકારીઓને આપવાને બદલે ગઈકાલે યોજાયેલા
સિંદૂર સન્માન યાત્રા અભિનંદન સમારોહમાં માત્ર ભાજપના ગણતરીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વોર્ડ કક્ષાના કાર્યકર્તાઓને બોલાવ્યા હતા. જેમાં સંસદ સભ્ય અને એક ધારાસભ્ય વિદેશના પ્રવાસે હોવાથી તેઓ આવી શક્યા નહીં જ્યારે અન્ય ધારાસભ્ય પણ કોઈ કારણસર હાજર રહી શક્યા ન હતા.
ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખના પ્રયત્નોથી જ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ સફળ થયો છે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોર્પોરેશન કે એસ.ટી.વિભાગ કલેકટર કોઈનો પણ આભાર માનવામાં આવ્યો નથી. એટલું જ નહીં વિવિધ મોરચા પ્રદેશના હોદ્દેદારો અને વોર્ડના પ્રભારીઓની પણ બાદબાકી કરી દેવાતા ભાજપની ભાંજગડ ફરી એકવાર જાહેરમાં બહાર આવી છે.