Gujarat

શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં સીમી અને સ્લિપર સેલની સંડોવણી

By GS TEAM
28 Aug 20253 mins read
શ્રીજીની મૂર્તિ  પર ઇંડા ફેંકવાની ઘટનામાં  સીમી અને સ્લિપર સેલની સંડોવણી

વડોદરા,વડોદરામાં ભૂતકાળમાં  પણ સંખ્યાબંધ વખત કોમી તોફાનો થયા છે. ધાર્મિક શોભાયાત્રાને ટાર્ગેટ કરીને પથ્થર અને બોટલ ફેંકવામાં આવ્યા છે. પરંતુ, આ વખતે પહેલી વખત જ ઇંડા  ફેંકવામાં આવ્યા છે. જેનાથી એટલું સ્પષ્ટ થાય છે કે, આરોપીઓનો ઇરાદો  ધાર્મિક લાગણી દુભાવવાનો હતો. તેની પાછળ દોરી સંચાર કરવામાં સીમી અને સ્લિપર સેલના આરોપીઓની સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. જેના પગલે સેન્ટ્રલ આઇ.બી.ની ટીમ પણ આરોપીઓની પૂછપરછ કરવા માટે આવી પહોંચી હતી.

સોમવારે મોડીરાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી  રોડ પર માંજલપુર નિર્મળ પાર્ક યુવક મંડળના ગણેશજીની શોભાયાત્રા પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. આ ગુનામાં પોલીસે ૧૭ વર્ષના કિશોર સહિત ત્રણને ઝડપી પાડયા છે. સગીરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે બે આરોપીઓ સૂફિયાન અને શાહનવાઝ રિમાન્ડ પર છે. આ કેસમાં તપાસ દરમિયાન માફિયા ગેગની સંડોવણી બહાર આવી છે. માફિયા ગેંગના અન્ય આરોપીઓને પોલીસ શોધી રહી છે. માફિયા ગેંગના નામે સોશિયલ મીડિયા પર ચાલતા ગુ્રપના એડમિન તથા અન્ય સભ્યોને પોલીસ શોધી રહી છે. આરોપીઓએ ગુ્રપમાંથી મેસેજ ડિલિટ કરી  દીધા છે. આ ગુ્રપના ડિલિટ થયેલા મેસેજ  રિકવર કરવા માટે પોલીસે સાયબર એક્સપર્ટની મદદ લીધી છે. પોલીસે આરોપીઓના મોબાઇલ ફોન પણ ચેક કર્યા છે. પરંતુ, હાલના તબક્કે કોઇ શંકાસ્પદ મેસેજ કે  કોલ મળ્યા નથી. 

 હાલના આરોપીઓની પાછળના માસ્ટર માઇન્ડને પોલીસે ઓળખી કાઢ્યો છે. આરોપી હાલ ઘર છોડીને મોબાઇલ ફોન બંધ કરીને ફરાર થઇ  ગયો છે. જેથી, પોલીસે તેના ઘરે  નોટિસ  પાઠવી હાજર થવા ફરમાન કર્યુ છે.


શ્રીજીની સવારી મોડીરાતે આવવાની હોવાની માહિતી કઇ રીતે મળી ?

 વડોદરા,

આરોપીઓનો ઇરાદો પહેલાથી જ સ્પષ્ટ  હતો. રાતે બે વાગ્યે તેઓ ઇંડા લાવે છે અને  પાણીગેટ માંડવી રોડ પર એક  રિક્ષામાં બેસીને શોભાયાત્રાની રાહ જોતા હતા. તેઓને કઇ રીતે ખબર પડી કે, શ્રીજીની સવારી  આટલી મોડી  નીકળવાની છે. આ માહિતી તેઓ સુધી કોણે પહોંચાડી ?તે પણ તપાસનો વિષય છે. સવારી આવતી જોઇને ત્રણેય  રિક્ષામાંથી બહાર નીકળે છે. શાહનવાઝ  નીચે ઉભો રહે છે.જ્યારે સૂફિયાન અને ૧૭ વર્ષનો કિશોર ઇંડા લઇને અગાશી  પર જાય છે.


૧૭ વર્ષનો કિશોર મોબાઇલના લોકેશનના આધારે ભરૃચથી ઝડપાયો

વડોદરા,

ઇંડા  ફેંક્યા પછી તંગદિલી છવાઇ જતા આરોપીઓ નીચે ઉતરીને આજવા  રોડ તરફ ભાગી ગયા હતા. મળસ્કે ચાર વાગ્યે  શાહનવાઝ અને સૂફિયાન ઘરે આવીને સૂઇ જાય છે. દરમિયાન પોલીસને સૂફિયાનની સંડોવણીની માહિતી મળતા પોલીસ તેને ઘરેથી ઝડપી પાડે છે. તેની પૂછપરછમાં શાહનવાઝનું નામ ખૂલતા  પોલીસ તેને ઝડપી પાડે છે. જ્યારે ૧૭ વર્ષનો કિશોર ઘરે નહતો. પરંતુ,તેનો મોબાઇલ ફોન ચાલુ હતો. તેના આધારે તેનું લોકેશન મેળવી પોલીસની ટીમે ભરૃચથી તેને ઝડપી લીધો હતો.


આરોપીઓના વિદેશ  કનેક્શન અંગે પોલીસ દ્વારા તપાસ

વડોદરા,

 આ ઘટનામાં  પકડાયેલા સગીર ઉપરાંત અન્ય ચાર આરોપીઓની સંડોવણી બહાર આવી છે. આરોપીઓ ઘર છોડીને ફરાર થઇ ગયા છે. તેઓને શોધવા માટે પોલીસની અલગ - અલગ ટીમો દોડધામ કરી રહી છે. પકડાયેલા આરોપીઓને ઇંડા ફેંકવાની સલાહ આપનાર આરોપી ઝડપાયા  પછી ગેંગની અન્ય  પ્રવૃત્તિઓ બહાર આવશે. માફિયા ગેંગના સૂત્રધાર અને સભ્યોના વિદેશ કનેક્શન અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.