જાફરાબાદના દરિયામાં ૩ નંબરનું સિગ્નલ લગાવાયું
- માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ
- બીજી સપ્ટેમ્બર સુધી દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળી શકે
રાજુલા : જાફરાબાદના દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને આગામી બીજી સપ્ટેમ્બર સુધી સાવચેત રહી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
સ્ટેટ કંટ્રોલ વિભાગમાંથી મળેલી સુચનાને અનુસંધાને જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે જીએમબી દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તા.૨૯-૮થી તા.૨-૯ સુધી દરિયામાં ૪૦થી ૬૦ કિ.મી.ની ઝડપ સુધી પવન ફૂંકાઈ શકે છે. તેમજ ઊંચા મોજા ઉછળવાના પણ એંધાણ હોવાથી જાનમાલની નુકશાની ન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે આ દિવસો દરમિયાન માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરાઈ છે.