Gujarat

સુરતમાં યુધ્ધની આડઅસર લારી-રેંકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફિક્કી બની : અનેક ફાસ્ટફુડ ગાયબ થયા, ભાવમાં વધારો

By GS TEAM
31 Mar 20262 mins read
TukuTouch Logo
સ્ટ્રીટ ફૂડ માટે પ્રખ્યાત સુરતમાં હવે સતત ગેસ પર બનતી વાનગીઓ ઘટવા લાગી : લારી પર ગેસની ભારે અછત વડાપાવ, કચોરી જેવી વસ્તુઓના ભાવમાં વધારો, ગેસના બદલે કોલસાનો થઈ રહ્યો છે ઉપયોગ

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં યુધ્ધની આડઅસર લારી-રેંકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફિક્કી બની  : અનેક ફાસ્ટફુડ ગાયબ થયા, ભાવમાં વધારો

Surat: મધ્યપૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધ તણાવના પગલે વૈશ્વિક સ્તરે ગેસ સપ્લાય ચેઇન પર અસર મોટી અસર જોવા મળી નથી. પરંતુ ખાણીપીણી માટે વિશ્વમાં પ્રખ્યાત એવા સુરતમાં ગેસનો ઉપયોગ કરીને વાનગી બનાવતા લારી-રેંકડીવાળા પર દેખાઈ રહી છે. યુદ્ધની અસર જોવા મળી રહી છે. સુરતની અનેક લારી પર ગેસનો ઉપયોગ થઈ વાનગીઓ બનતી હતી. પરંતુ ગેસના બાટલાની શોર્ટેજના કારણે સુરતની લારીઓ પર ગેસની મદદથી બનતા અનેક ફાસ્ટફુડ ગાયબ થતા જોવા મળી રહ્યા છે તો કેટલાકે વાનગીમાં ભાવ વધારો કરી દીધો છે. ત્યારે કેટલીક જગ્યાએ ગેસના બદલે હવે કોલસાનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. 

સુરતનું જમણ અને કાશીનું મરણએ કહેવત વિશ્વ વિખ્યાત છે આ સાથે સુરતના દરેક ખૂણામાં સ્ટ્રીટ ફુડની પણ એક અલગ જ દુનિયા છે. સુરતમાં સ્ટ્રીટ ફૂડ માટે હજારોની સંખ્યામાં લારી-રેંકડી છે તેના પર ખાનારાઓની ભીડ જોવા મળે છે. સુરતમાં જે લારીઓ પર ગેસના બાટલાનો ઉપયોગ કરી વાનગીઓ બનાવવામાં આવતી હતી તેમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. યુદ્ધ પહેલાના સમયમાં લારી-રેંકડીવાળાને સરળતાથી ગેસનો બાટલો મળી રહેતો હતો પરંતુ હાલની સ્થિતિમાં બાટલા માટે મારા મારી ચાલી રહી છે અને માંડ બાટલો મળી રહ્યો છે.

જેના કારણે ભેળ પુરીની લારીઓ પર કેટલાક લારીવાળાએ બાટલાની અછત હોવાથી રગડો બનાવવાનું બંધ કર્યું છે અને તેના કારણે રગડા પેટીસ સહિતની ગેસ પર ગરમ કરીને બનતી વાનગીઓ અનેક જગ્યાએ બંધ થઈ ગઈ છે. આ ઉપરાંત ભજીયા માટે સુરત ફેમસ છે અને શહેરની અનેક લારીઓ પર સતત ગેસ ચાલુ હોય અને ગરમ ગરમ ભજીયા મળતા હોય છે. પહેલા ગ્રાહકો આવે ત્યારે ગરમ ભજીયા બનાવી આપતા હતા પરંતુ હાલ ગેસના બાટલા ન હોવાથી એક જથ્થામાં ભજીયા બનાવી લેવામાં આવે છે. તો કેટલાક લોકોએ તો બટાકા પુરી જેવી વાનગી બનાવવાનું બંધ કરી દીધું છે. તો કેટલાક દુકાનદારોએ વડાપાવ અને કચોરી જેવી વાનગીના ભાવમાં વધારો કરી દીધો છે. ગેસની અછતના કારણે લારી પર ખાણીપીણીનો ધંધો કરતા લોકોની મુશ્કેલી વધી રહી છે અને ના છુટકે તેઓ કેટલીક વાનગીઓ ઓછી કરી રહ્યાં છે.

સુરતમાં હજારોની સંખ્યામાં ચાની લારીઓ છે પરંતુ તેમાંથી અનેક ચાની લારીઓ ગેસના અભાવે બંધ થઈ રહી છે. તો કેટલાક ચા વાળાએ તો ગેસના વિકલ્પ તરીકે કોલસાનો ઉપયોગ શરૂ કરી દીધો છે જેના કારણે ચાનો ટેસ્ટ પણ બદલાઈ રહ્યો છે. આમ ગેસના બાટલાની અછત ખાણીપીણી માટે વિશ્વમાં વિખ્યાત સુરતના સ્ટ્રીટ ફૂડ પર અસર જોવા મળી રહી છે. જો આ અસર લાંબો સમય જોવા મળે તો અનેક લારીવાળાની રોજગારી છીનવાઈ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.