દ્વારકાનાં દ્વારકાધીશજી મંદિરે શ્રીજીને ખુલ્લા પડદે જયેષ્ઠાભિષેક કરાયો
દ્વારકાધીશજીને વર્ષમાં બે જ વાર ખુલ્લા પડદે અભિષેક થાય છે : મંદિરના પૌરાણિક કુંડમાં જલ ભરી શ્રીજીનાં બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બેસાડી જલયાત્રા નાવ મનોરથની ઉજવણી, દર્શનાર્થે ભાવિકો ઉમટયા
દ્વારકા, : દ્વારકાન દ્વારકાધીશજી મંદિરમાં દર વર્ષે જેઠ સુદ પુનમના શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત આજે સવારે મંગળા આરતી બાદ શ્રીજીને ખુલ્લા પડદે જયેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રકારનો અભિષેક વર્ષમાં ફકત બે જ વાર થાય છે. જલયાત્રા નાવ મનોરથની પણ ઉજવણી કરાઇ હતી.દર્શનાર્થે ભાવિકો ઉમટયા હતા. યાત્રાધામ દ્વારકામાં આજે જેઠ સુદ પુનમના ભાવિકો ઉમટયા હતા.વહેલી સવારથી જ હજારો ભાવિકોએ ગોમતી ધાટ પર સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ગોમતી સ્નાન બાદ કાળિયા ઠાકોરના દર્શન કરવા સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વારે ભાવિકોની લાંબી કતારો લાગી હતી. દર વર્ષે જન્માષ્ટમી અને જયેષ્ઠ પૂણમાં એમ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે. જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્વ છે.આ પરંપરા અંતર્ગત
આજે જેઠ સુદ પુનમના સવારે મંગળા આરતી બાદ શ્રીજીને ખુલ્લા પડદે જયેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો. વારદાર પુજારી દ્વારા કાળિયા ઠાકોરને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. તથા જલયાત્રા ઉત્સવ નિમીતે સાંજે શ્રીજીને ઉત્થાપન કરાવ્યા બાદ નીજ મંદિરના સભામંડપમાં પૌરાણિક કુંડ (હોજ)માં જલ ભરી શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બેસાડી જલયાત્રા નાવ મનોરથ યોજવામાં આવ્યો હતો. શ્રીજીના અલૌકિક દર્શનનો હજારો ભાવિકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.