શ્રીકષ્ટભંજન હનુમાનને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો
Shri Kastabhanjan Hanuman Temple : બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણના માસના નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે શનિવારના રોજ (2 ઓગસ્ટ) ના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય દેવાધિદેવ મહાદેવની થીમના વાઘાનો શણગાર કરાયો કરવામાં આવ્યો હતો.
શ્રાવણ માસના શનિવાર નિમિત્તે દાદાને દિવ્ય દેવાધિદેવ મહાદેવની થીમના વાઘાનો શણગાર કરાયો હતો. આ સાથે, વિવિધ પ્રકારના ડ્રાયફ્રુટનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. હાલ પવિત્ર શ્રાવણ ચાલી રહ્યો હોવાથી સાળંગપુર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. હજારો ભક્તોએ કષ્ટભંજનદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દાદાના અલૌકિક શણગાર અને અન્નકૂટના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થયા હતા.
દેશ-વિદેશમાં વસતા હનુમાનજી દાદાના લાખો ભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો અને આ દિવ્ય શણગાર જોઈને આનંદની લાગણી અનુભવી હતી. શ્રાવણ માસ દરમિયાન સાળંગપુર હનુમાનજી મંદિરનો માહોલ ભક્તિમય અને ઉત્સાહભર્યો રહ્યો હતો.