સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો
Kashtbhanjandev Temple Salangpur: સુપ્રસિદ્ધ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે રવિવાર (31મી ઓગસ્ટ)ના રોજ ધરો આઠમ અને રાધાષ્ટમી નિમિતે દાદાના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો હતો. આજે સવારે 5:45 લાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 8:00 લાગ્યે શ્રીહરિ મંદિરમાં ગણપતિદાદાનું પૂજન -અર્ચન-આરતી કરવામાં આવી હતી. દાદાના દર્શન અનેક ભક્તોએ કરી ધન્યતા અનુભવી હતી.
દાદાને સુરતમાં તૈયાર થયેલા વિશેષ વાઘા પહેરાવ્યા
હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, 'ધરો આઠમ અને રાધાષ્ટમીના પાવન અવસરે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આ ધરો સાળંગરપુર હનુમાનજી મંદિરના ગાર્ડનમાંથી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે તૈયાર થયેલા વિશેષ વાઘા પહેરાવ્યા છે. આ વાઘામાં રાધાજીના મહેલનું ચિત્ર દર્શાવાયું છે. આજે બપોરે શ્રીહરિ મંદિરમાં રાધાજીના જન્મોત્સવની આરતી કરવામાં આવશે.'