જામનગરમાં સાધના કોલોની નજીક ગઈ રાત્રે વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાથી દોડધામ
Jamnagar : જામનગરમાં સાધના કોલોની હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સ નજીકના ભાગમાં ગઈકાલે રાત્રે 11 વાગ્યાની 25 મિનિટે એક વિન ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. સૌપ્રથમ તણખા જર્યા પછી ધડાકા સંભળાયા હતા, અને ત્યારબાદ ટ્રાન્સફોર્મરની બહાર ઢોળાયેલો ઓઇલનો જથ્થો, તેમજ કેબલ વગેરે સળગવા લાગ્યા હતા.
જે ધડાકાના અવાજને કારણે અને આગની જવાળાને લઈને સમગ્ર સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતા, અને દોડધામ થઈ હતી. આગના બનાવ અંગે વિજ તંત્ર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરાતાં બંને ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી.
ત્યારબાદ સૌપ્રથમ તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો, ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર શાખાની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી.
ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી, અને તણખા નીચે પડવાથી કચરાનો ઢગલો એકત્ર થયો હતો તે પણ સળગ્યો હતો. પરંતુ ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની અટકી હતી.
સમગ્ર કવાયત એકાદ કલાક ચાલી હતી, ત્યારબાદ રાત્રિના 12.45 વાગ્યે વિજ તંત્રએ સમારકામ આટોપી લઇ સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો પુન: કાર્યરત બનાવી દીધો હતો, જેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.