વડોદરાની મંગળ બજારમાં જુના પેવર બ્લોક કાઢી હલકી કક્ષાના નવા બ્લોક નંખાતા દુકાનદારોમાં રોષ : કોંગ્રેસના દેખાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

image : ai image
Vadodara : વાહન વ્યવહારથી ધમધમતા અને દબાણોથી માથાના દુખાવા સમાન બનેલા સમગ્ર મંગળ બજાર વિસ્તારમાં જુના પેવર બ્લોક કાઢીને નવા પેવર બ્લોક નાખવાની ચાલતી કામગીરીમાં પેવર બ્લોકની ગુણવત્તા હલકી કક્ષાની અને અવ્યવસ્થિત લેવલિંગ ઊંચું આવી જવાના કારણે ચોમાસામાં દુકાનોમાં પાણી ભરાઈ જવાના ભયથી દુકાનદારોમાં રોષ વ્યાપ્યો છે. ઘટના સ્થળે પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરીને ઘટના સ્થળે બોલાવવામાં આવેલા પાલિકાના અધિકારી સમક્ષ હલકી ક્વોલિટી, યોગ્ય લેવલિંગ સહિતના અનેક આક્ષેપો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહાર અને ટ્રાફિકથી ધમધમતા રહેતા મંગળ બજાર વિસ્તારમાં ગેરકાયદે દબાણનો રાફડો છે. આમ છતાં પાલિકા તંત્ર દ્વારા અગાઉ આ વિસ્તારમાં રોડ રસ્તા ખોદીને વ્યવસ્થિત રીતે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા. આમ છતાં પણ તાજેતરમાં ફરી એક વખત તમામ પેવર બ્લોક આ વિસ્તારમાંથી કાઢીને રોડ રસ્તા ખોદી લેવલિંગ કરાયું હતું ત્યારબાદ નવા પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ થઈ હતી. પરંતુ દુકાનદારોનો આક્ષેપ હતો કે જમીનનું લેવલ પુરાણ થવાના કારણે ઊંચું આવી ગયું છે. પરિણામે ચોમાસામાં તમામ વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ જવાની શક્યતા વેપારીઓ જોઈ રહ્યા છે. પરિણામે કામગીરીનો વિરોધ કરીને બનાવની જાણ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને કરવામાં આવી હતી.
કાર્યકરો સાથે ઘટના સ્થળે પહોંચેલા કોંગી પ્રમુખે પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચાર શરૂ કર્યા હતા અને પાલિકા તંત્રના જવાબદાર અધિકારીને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સમક્ષ પેવર બ્લોક હલકી કક્ષાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઉપરાંત બ્લોક નાખવામાં પણ યોગ્ય લેવલિંગ પણ જળવાતું નહીં હોવા સહિત પુરાણના કારણે પેવર બ્લોકનું ઊંચું થવાના કારણે ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે દુકાનોમાં પાણી ભરાઈ જવાનો વેપારીઓને ભય સતાવી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. પેવર બ્લોક નાખવાની અણગઢ કામગીરી અંગે સ્થાનિક દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અગાઉ નાખવામાં આવેલા બ્લોક પ્રમાણમાં યોગ્ય રીતે નંખાયા હોવા સહિત ટ્રાફિક અને દુકાનદારો માટે પણ રાહત રૂપ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ ઉપરાંત સ્થાનિકોએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, હલકી કક્ષાના પેવર બ્લોક ભવિષ્યમાં બદલવાના થતા તંત્રને ભ્રષ્ટાચારનો ખુલ્લેઆમ મોકો મળી જશે.








