દુકાનદાર પર લાકડાથી હુમલો કરતા બેભાન થઇને ઢળી પડયા

વડોદરા,વાડી શાસ્ત્રીબાગ પાસે નજીવી બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા આરોપીએ લાકડાથી હુમલો કરતા દુકાનદાર બેભાન થઇ ગયો હતો. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાડી નવાપુરામાં રહેતા રાજેશભાઇ ઉર્ફે પપ્પુ કેદારનાથ નીકમ તેના ભાઇ મહેન્દ્ર ઉર્ફે શ્યામની અંબિકા ફેબ્રિકેશનની દુકાનમાં ફેબ્રિકેશનનું કામ કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે ઘરની બહાર બોલાચાલની અવાજ આવતા હું બહાર જોવા ગયો હતો. એક વ્યક્તિ મારા ભાઇ સાથે ઝઘડો કરતો હતો. હું છોડાવવા વચ્ચે પડતા તે વ્યક્તિએ મારા ભાઇના માથામાં નજીકમાં પડેલું લાકડું મારી દીધું હતું. જેથી, મારા ભાઇ બેભાન થઇ ગયા હતા. મારા ભાઇની હોસ્પિટલમાં સારવાર ચાલતી હોઇ હું પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો હતો. તે સમયે મારા ભાઇ પર હુમલો કરનાર પણ ત્યાં જ હાજર હતો. તેણે જણાવ્યું કે, મારૃં નામ કમલેશ કમશીભાઇ છે. તમારા ભાઇ સાથે કચરો નાંખવા બાબતે ઝઘડો થતા તેણે મને લોખંડની પાઇપ હાથ પર મારી દેતા મે આવેશમાં આવીને લાકડું મારી દીધું હતું.








