ગુગલ સર્ચ કરી કુરીયર સર્વિસમાં લોગઈન કરતા શર્ટ મેન્યુફેક્ચરરે રૂ.1.60 લાખ ગુમાવ્યા
મૂળ ભાવનગરના યુવાને પોતાના ધંધા માટે એસ્કોર્ટ સર્વિસ નામની વેબસાઈટમાં આપેલા નંબર પર સંપર્ક કરતા ચાર્જ પેટે રૂ.1100 ભરાવ્યા હતા
બાદમાં ઓછી રકમ ભૂલથી કહેવાઈ ગઈ છે તેમ કહી રૂ.15,900 ભરાવી અને નેટવર્ક નથી તેથી પૈસા મળ્યા નથી કહી તેમજ જુદાજુદા ચાર્જ પેટે બીજા પૈસા ભરાવ્યા હતા
- મૂળ ભાવનગરના યુવાને પોતાના ધંધા માટે એસ્કોર્ટ સર્વિસ નામની વેબસાઈટમાં આપેલા નંબર પર સંપર્ક કરતા ચાર્જ પેટે રૂ.1100 ભરાવ્યા હતા
- બાદમાં ઓછી રકમ ભૂલથી કહેવાઈ ગઈ છે તેમ કહી રૂ.15,900 ભરાવી અને નેટવર્ક નથી તેથી પૈસા મળ્યા નથી કહી તેમજ જુદાજુદા ચાર્જ પેટે બીજા પૈસા ભરાવ્યા હતા
સુરત, : સુરતના સરથાણા યોગીચોક સાવલીયા સર્કલ ખાતે શર્ટ મેન્યુફેક્ચરીંગનું કામ કરતા મૂળ ભાવનગર પાલીતાણાના યુવાને પોતાના ધંધા માટે એસ્કોર્ટ કુરીયર સર્વિસની વેબસાઈટમાં લોગ ઈન કરવા જતા રૂ.1.60 લાખ ગુમાવ્યાની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાઈ છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર પાલીતાણાના વતની અને સુરતના સરથાણા યોગીચોક સાવલીયા સર્કલ ખાતે શર્ટ મેન્યુફેક્ચરીંગનું કામ કરતા 24 વર્ષીય સમયભાઈ ( નામ બદલ્યું છે ) એ ગત 17 નવેમ્બર 2024 ના રોજ રાત્રે નવ વાગ્યે પોતાના ધંધા માટે કુરીયર સર્વિસની જરૂર હોય ગુગલ સર્ચ કરતા એસ્કોર્ટ સર્વિસ નામની વેબસાઈટ મળી હતી.તેમાં આપેલા મોબાઈલ નંબર ઉપર વાત કરતા તે કંપની સાથે કામ થઈ શકે તેમ હોય સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું.આથી તે વ્યક્તિએ સમયભાઈ પાસે આધારકાર્ડ અને કંપનીની વિગતો મેળવી કુરીયર સર્વિસમાં લોગઈન કરવા માટે રૂ.1100 નો ચાર્જ ચૂકવવા કહેતા સમયભાઈએ તે પૈસા ટ્રાન્સફર કર્યા હતા.જોકે, થોડી વાર બાદ તે વ્યક્તિએ ભૂલથી ઓછો ચાર્જ લેવાઈ ગયો તમારે રૂ.15,900 ચાર્જ ભરવાનો થશે તેમ કહેતા સમયભાઈએ તે પૈસા પણ ટ્રાન્સફર કર્યા હતા.
પરંતુ તે વ્યક્તિએ નેટવર્ક આવતું નથી તેથી પૈસા મળતા નથી કહી ફરી રૂ.15,900 ભરાવ્યા હતા.તે પછી પણ લોગઈન થતું ન હોય સમયભાઈએ તે વ્યક્તિને પૂછતાં તેણે બે મિનિટમાં લોગઈન માટે ચાર્જ ભરવા ક્યુઆર કોડ મોકલી રૂ.30 હજાર ભરાવ્યા હતા.જોકે, ફરી મોબાઈલમાં નેટવર્ક નથી તેથી પૈસા મળ્યા નથી તેમ કહી રૂ.30 હજાર ફરી ભરાવી અને ત્યાર બાદ સિક્યુરિટી પેટે રૂ.31,800, જીએસટી પેટે રૂ.24,804 ભરાવ્યા હતા.તે પછી તેઓ કોઈ સર્વિસ આપતા ન હોય સામ્યભાઇએ પૈસા પરત માંગતા તે વ્યક્તિએ બીજા રૂ.10,900 ભરવા કહેતા અને તે પછી તમને તમામ પૈસા પાછા મળી જશે તેમ કહેતા સમયભાઈએ રૂ.10,900 જમા કર્યા હતા.
પણ કુલ રૂ.1,60,404 ભરાવ્યા બાદ પણ કોઈ સર્વિસ નહીં આપતા પોતે છેતરાયા છે તેવી જાણ થતા સમયભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નં.1930 ઉપર ફરિયાદ કરી હતી.તેના આધારે સરથાણા પોલીસે ગતરોજ ભેજાબાજો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વધુ તપાસ પીઆઈ બી.બી.કરપડા કરી રહ્યા છે.