નડિયાદ શહેરમાં વૈશાલી ગરનાળાની કામગીરીમાં ગટરના પાણી રેલાતા અડચણ
- ગટરના પાણી મનપા તંત્ર માટે વિઘ્ન બન્યા
- વારંવાર તાકીદ કરાતા મનપા તંત્ર માત્ર મશીનથી પાણી ધકેલવા સિવાય કઈ કરી શકતું નથી
નડિયાદમાં રાજ્ય સરકાર હસ્તકના જીયુડીસી દ્વારા વૈશાલી ગરનાળાને પહોળુ કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદની મિરલ ઈન્ફ્રાસ્ટક્ચર એજન્સી દ્વારા છેલ્લા ચાર માસ ઉપરાંતથી કામગીરી ચાલુ છે. આ વચ્ચે કામગીરીની શરૂઆતથી જ મહાનગરપાલિકા ડ્રેનેજ સ્વરૂપે અડચણરૂપ બની રહી છે. આસપાસના ચારેય તરફના રહેણાંક વિસ્તારના ગટરના પાણી ઉભરાઈ અને જ્યાં ગરનાળાની કામગીરી ચાલુ છે, ત્યાં જ ઉતરી રહ્યા છે. જેના કારણે કામગીરી કરવામાં ભારોભાર સમસ્યા વેઠવાનો વખત આવ્યો છે. લાંબા સમય બાદ આ કામગીરી જ્યારે શરૂ થઈ છે, ત્યારે શરૂઆતથી જ ગટરના પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે. મનપાના અધિકારીઓને વારંવાર તાકીદ કરવા છતાં તેનો કાયમી ઉકેલ આવ્યો નથી અને આ પરીસ્થિતિ સર્જાતા મનપા જેટીંગ મશીનથી પાણી ધકેલવા સિવાય અન્ય કોઈ કામગીરી કરતી નથી.
ચોમાસા પહેલા ૫૦ ટકા ઉપરાંત કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે પરંતુ વારંવાર ગટરના પાણી આ વૈશાલી ગરનાળામાં ઉતરતા હોવાથી ત્યાં કામગીરીમાં અડચણ ઉભી થઈ રહી છે. આ અંગે મનપા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરી અને ગટરના પાણી કાયમી ઉભરાતા બંધ કરાય તેવી તાતી જરૂર છે.
તો વળી, વૈશાલી ગરનાળાથી સંતરામ તરફ જતા માર્ગ પર આવેલ પમ્પીંગ સ્ટેશન યોગ્ય સમયે ચાલુ ન કરતા તે તરફથી પણ ગટરના પાણીને ધક્કો વાગી અને પાછુ પડતા ગરનાળાની કામગીરી ચાલુ છે, ત્યાં જ પાણી ઉતરી રહ્યુ છે. જેથી યોગ્ય પગલાં લેવાય તેવી જરૂર ઉભી થઈ છે.