અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ગુજરાત હાઇકોર્ટના શરણે, DEOના નિર્ણયને ફેંક્યો પડકાર
Seventh Day School Controversy : અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલમાં થોડા દિવસ પહેલા જ એક વિદ્યાર્થી દ્વારા સગીરની હત્યાના વિવાદમાં સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ શહેર ડીઇઓ તરફથી ફટકારવામાં આવેલી કારણદર્શક નોટિસ અને તેની કાયદેસરતાને વિવાદીત સ્કૂલ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલની રિટ અરજીની સુનાવણી એકાદ-બે દિવસમાં જસ્ટિસ નિખિલ એસ.કેરીયલની કોર્ટ સમક્ષ નીકળે તેવી શકયતા છે.
સેવન્થ ડે સ્કૂલ દ્વારા આરટીઇ એકટ હેઠળ નીમાયેલી પાંચ સભ્યોની તપાસ સમિતિની કાયદેસરતાને પણ પડકારી છે. અમદાવાદ શહેરના ડીઇઓ રોહિત ચૌધરી દ્વારા તાજેતરમાં જ સેવન્થ ડે સ્કૂલને શો-કોઝ નોટિસ ફટકારી ધોરણ-1થી 12 સુધીના અભ્યાસ અંગેની પરવાનગી, આઇસીએસઇ બોર્ડનું જોડાણ પ્રમાણપત્ર, ગુજરાત સરકારના એનઓસીની નકલ, માન્યતાપ્રાપ્ત શાળા તરીકેનો નકશો, શાળાનો ટ્રસ્ટ ડીડ, ફાયર એનઓસી, શાળાના પરિસરમાં કાર્યરત સંસ્થાઓ, શિક્ષકોની લાયકાત, મકાન ઉપયોગ અને પરવાનગી સહિત વિવિધ પ્રકારના 16 જેટલા દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. ડીઇઓ તરફથી સમયમર્યાદામાં પાલન કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં કડક કાર્યવાહી પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી.
આ પહેલા સ્કૂલના વાલી સંગઠન તરફથી અમ્યુકો કમિશનર અને શહેરના મેયરને અરજી કરી સ્કૂલની જમીન લીઝ રદ કરવાની માંગણી કરાઇ છે. સરકાર તરફથી પણ સ્કૂલના વિવાદીત પ્રકરણમાં ચાર અધિકારીઓને નિયુકત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલના 15 વર્ષના ધોરણ 10ના વિદ્યાર્થી વિરુદ્ધ ભૂતકાળમાં બનેલી ઘટનાનો બદલો લેવા માટે તેના જુનીયર વિદ્યાર્થી નયન સંતાનીને સ્કૂલના ગેટની બહાર છરી મારીને હત્યા કરવાના બનાવ નોંધાયો હતો, જેને પગલે રાજયભરમાં ખળભળાટ મચી ગયો હતો. નિર્દોષ વિદ્યાર્થીની હત્યાને પગલે સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો અને તાત્કાલિક શાળા બંધ કરાવવાની માંગણી કરી હતી.