સુરેન્દ્રનગરમાં આર.ટી.ઈ.ની સાત કરોડની ફી ખાનગી શાળાઓને ચુકવાઇ નથી

સમયસર ફી નહીં મળતા શાળાઓની આર્થિક મુશ્કેલી
સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આર.ટી.ઈ.ની ફી ચુકવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારીને પત્ર લખ્યો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાની અનેક ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ (રાઇટ ટુ એજ્યુકેશન) કાયદા હેઠળ ધોરણ-૧માં ૨૫% વિદ્યાર્થીઓને મફતમાં પ્રવેશ આપીને તેમને શિક્ષણ આપવાની જવાબદારી નિભાવવામાં આવે છે. સરકાર દ્વારા આ માટેની રકમ શાળાઓને વળતર તરીકે આપવામાં આવે છે. પરંતુ સુરેન્દ્રનગરમાં આર.ટી.ઈ.ની સાત કરોડની ફી ખાનગી શાળાઓને ચુકવાઇ નથી.
સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારીને પત્ર લખીને અંદાજે ૬૦૦૦ વિદ્યાર્થીઓેની ૭ કરોડ કરતા વધુ રકમ હજુ સુધી મળી નથી. જેના કારણે શાળા સંચાલકો અને સ્ટાફની દિવાળી બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. વધુ જાણવા મળતી માહીતી મુજબ સરકાર તરફથી રકમ તો આવી ગઈ છે, પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બેદરકારી અને ઉદાસીન વલણને કારણે આ રકમનું વિતરણ અટકી પડયું છે. આર.ટી.ઈ.ની ફી સરકાર દ્વારા જુલાઈના અંતમાં અને ઓગસ્ટ માસની શરૃઆતમાં જ જેતે જિલ્લામાં ફાળવી દેવામાં આવતી હોય છે.
વધુમાં, ઘણા બધા જિલ્લાઓમાં આર.ટી.ઈ. ફી શાળાઓના ખાતામાં જમા પણ થઈ ગઈ છે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ હજુ સુધી જમા નથી થઈ ? જેના કારણે શાળાઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક શાળા તરફથી કચેરીમાં વારંવાર માંગણી કરવામાં આવે છે કે રકમનું ઝડપથી વિતરણ કરવામાં આવે, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જો આ રકમનું વિતરણ તાત્કાલિક નહીં કરવામાં આવે તો શાળાઓના સંચાલનમાં મુશ્કેલીઓ ઊભી થશે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર પડી શકે છે.