Gujarat Dam Safety: ડેમોની સલામતીનો મુદ્દો લોકસભામાં ઊઠ્યો હતો ત્યારે કેન્દ્રની સૂચનાને પગલે ગુજરાતમાં ડેમોની સલામતીને લઈને ચકાસણી કરવામાં આવી હતી. જેમાં દસેક ડેમોમાં ગંભીર ખામી જોવા મળી હતી જેના પગલે સરકારની ચિતામાં વધારો થયો છે.
મોરબી મચ્છુ-2 ડેમના દરવાજા બદલવા ભલામણ
વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજ્ય બંધ સલામતી સંગઠનનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં એવા તારણો રજૂ કરાયા કે, રાજ્યમાં કુલ 524 ડેમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં દસેક ડેમોમાં ગંભીર ખામી જોવા મળી જેમકે, મોરબીના મચ્છુ-2ની સલામતી સુનિશ્ચિત કરવા ડેમના દરવાજા બદલવા માટે ભલામણ કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના ડેમી-3માં ખામી જોવા મળી હતી. આ ડેમમાં થાંભલાનું નિરિક્ષણ કરતાં ચિંતાજનક સ્થિતિ દેખાઈ હતી. કોંક્રિંટમાં ખાલી જગ્યા જોવા મળી હતી.
ડોન ડેમ, ભરપર ડેમ, ખંભાલા ડેમ, વેણગાડી ડેમ, ફોડાર્નેસ ડેમ, મંજલ-રેલડિયા ડેમ, માલણ ડેમમાં ખામી હોવાનું ધ્યાને આવ્યુ હતું. આ ડેમોમાં રિટેનિંગ ધોવાઈ ગઈ હતી. ભૂસ્ખલનથી ડેમની દિવાલને નુકશાન પહોંચ્યુ હતું. ડેમમાં લિકેજ જોવા મળ્યુ હતું. સ્પિલવે બોડી વોલમાં તિરાડો જોવા મળી હતી. ડેમના ઓટોમેટિક ગેટને કાટ લાગ્યો હતો. આ ખામીઓને લીધે ચોમાસા પહેલાં ડેમોનું સમારકામ પૂર્ણ કરવા સરકારે લક્ષ્યાંક રાખ્યો છે.


