Get The App

પેથાપુરની સુખડેશ્વર સોસાયટીમાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા

Updated: Jun 8th, 2025

GS TEAM


Google News
Google News
પેથાપુરની સુખડેશ્વર સોસાયટીમાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા 1 - image


કોર્પોરેશનથી સીએમ ઓનલાઇન ફરિયાદ છતા સ્થિતિ ઠેરની ઠેર

૨૦ દિવસથી ૨૪ કલાક પાણી ઉભરાવવાની સમસ્યાથી ગટરના ગંદા-દુર્ગંધયુક્ત પાણીનુ રસ્તા અને મેદાનમાં તળાવ

ગાંધીનગર :  ગાંધીનગરમાં સમાવિષ્ટ થયેલા પેથાપુર વિસ્તારમાં આવેલી સુખડેશ્વર સોસાયટીમાં છેલ્લા ૨૦ દિવસથી પણ વધુ સમયથી ગટરની સમસ્યા યથાવત રહી છે. ખાસ કરીને પેથાપુર ચાર રસ્તા નજીક રાંધેજા માર્ગ પર ગટરના પાણી ઓવરફ્લો થઈને રોડ અને આસપાસના મેદાનોમાં ફરી વળ્યાં છે. જેના કારણે અહીંથી પસાર થતાં નાગરિકો તીવ્ર દુર્ગંધનો સામનો કરી રહ્યા છે.

આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકોએ અનેકવાર નગરસેવક, મ્યુનિસિપલ અધિકારીઓ અને સીએમ હેલ્પલાઇન પર પણ ફરિયાદ કરી હોવા છતાં, હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. પરિણામે રોગચાળાની શક્યતા વધી રહી છે અને નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ચોમાસા પહેલા જ આવી સ્થિતિ સર્જાતા તંત્રના પ્રી-મોન્સૂન કામગીરી પર પણ પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં પણ નાગરિકોએ અનેક વખત વીડિયો અને ફોટા શેર કરીને આ સમસ્યાનો ઉલ્લેખ કર્યોે છે. તેમ છતાં તંત્રની નિષ્ક્રિયતા સ્થાનિકોની તકલીફને વધુ ઉડી બનાવી રહી છે. નાગરિકોની માંગ છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને પરિસ્થિતિ કાબૂમાં લાવવામાં આવે નહીં તો રહિશો ઉગ્ર આંદોલન કરવા મજબૂર થશે.એટલુ જ નહીં, સત્વરે તંત્ર દ્વારા અહીં પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નિકળશે બાદમાં તો તંત્રને આ ગટરની સમસ્યાનો ઉકેલ લાવવો જ પડશે. તો અત્યારે જ સ્થાનિક તંત્ર હરકતમાં આવે તો રોગચાળો ફેલાતો અટકે તેવી માંગણી સ્થાનિકોની છે. 

Tags :