મહેસાણામાં 2 દિવસમાં 6ના કમકમાટીભર્યા મોત, માતા-પુત્રી અને દોહિત્રીએ કેનાલમાં ઝંપલાવ્યું, 3 બાળકો ટ્રેન નીચે કચડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mehsana Six Deaths In Two Days: મહેસાણા જિલ્લાના તળેટી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રજાપતિ પરિવારની માતા, તેમની દીકરી અને માત્ર 2 વર્ષની દોહિત્રીએ કલોલના પિયજ ગામ નજીકથી પસાર થતી કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આજે (ચોથી જૂન) સવારે ત્રણેયના મૃતદેહ કેનાલમાંથી મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બીજી તરફ ગઈકાલે (ત્રીજી જૂન) શોભાસણ ગામ નજીક માલગાડીની અડફેટે ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપઘાતનું કારણ સામે આવ્યું
મળતી માહિતી અનુસાર, મૃતકોમાં સંગીતાબહેન પ્રજાપતિ, તેમની પુત્રી નેહાબહેન અને નેહાની 2 વર્ષની દીકરીનો સમાવેશ થાય છે. આજે (ચોથી જૂન) સવારે ત્રણેયની મૃતદેહ કેનાલમાંથી મળી આવી હતી. કલોલ પોલીસે સ્થાનિક લોકોની મદદથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આપઘાત પાછળ કૌટુંબિક માનસિક ત્રાસ જવાબદાર હતો. મૃતક નેહાએ આપઘાત કરતા પહેલાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે પોતાના ઘરની પરિસ્થિતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. નેહાએ પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે, 'હું મારી ભાભીના સતત માનસિક ત્રાસથી કંટાળીને આ અંતિમ પગલું ભરી રહી છે.'
પોલીસ તપાસ તેજ
કલોલ પોલીસે આત્મહત્યા પૂર્વે લખાયેલી નેહાની આ સોશિયલ મીડિયા પોસ્ટને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. પોલીસે આ પોસ્ટના આધારે ટેકનિકલ તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારના અન્ય સભ્યો તથા સંબંધીઓના સત્તાવાર નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. એકસાથે ઘરના ત્રણ સભ્યો, જેમાં બે વર્ષની બાળકી પણ સામેલ છે, તેમના આવા કરુણ અંતથી સમગ્ર તળેટી ગામમાં માતમ છવાઈ ગયો છે.
ટ્રેનની અડફેટે ત્રણ બાળકોના મોત
મહેસાણાના શોભાસણ ગામ નજીક માલગાડીની અડફેટે ત્રણ માસૂમ બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. શોભાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા ત્રણ કિશોરો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આવી પહોંચેલી એક માલગાડીએ ત્રણેયને પોતાની અડફેટે લઈ લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય બાળકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
મૃતક બાળકોના નામ
•15 વર્ષીય જીગ્નેશ હમીરજી ઠાકોર
•16 વર્ષીય મૌલિકજી ફતેહસિંહ ઠાકોર
•14 વર્ષીય યુવરાજ રણજીતજી ઠાકોર








