ખાનગી બેન્કના સિનિયર મેનેજરનું હાર્ટ એટેકથી મોત
વડોદરાની બેંકના ઇન્ટરવ્યૂમાં પત્ની સિલેક્ટ થઇ ગઇ હતી
વડોદરા, એચડીએફસી બેન્કની નિઝામપુરા બ્રાંચના સિનિયર મેનેજરને ગઇકાલે રાતે ઉલટી થઇ હતી. તે ઉલટી બહાર નીકળવાના બદલે શ્વાસ નળીમાં ફસાઇ ગઇ હતી. ડોક્ટરનું કહેવું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકના કારણે તેઓનું મોત થયું હોવાનું જણાય છે.
મળતી માહિતી મુજબ, ભાયલી ગામ અક્ષર ઉપવન એપાર્ટમેન્ટમાં રહેતા દર્શકભાઈ ચંદ્રકાંતભાઇ કાનાણી ,ઉં. વ.૩૯ નિઝામપુરા ખાતે આવેલ એચડીએફસી ની બ્રાન્ચમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.તેમના પત્ની મુંબઇ ખાતે નોકરી કરતા હતા. છેલ્લા પાંચ વર્ષથી પતિ - પત્ની અલગ રહેતા હતા. તાજેતરમાં જ તેમના પત્નીએ પણ એક ખાનગી બેંકમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો. વડોદરામાં તેઓનું સિલેક્શન થઈ ગયું હતું.ગઇકાલે રાતે દર્શકભાઈના પત્ની મુંબઇથી આવ્યા હતા. રાતે સાડા દશ વાગ્યે દર્શકભાઇને છાતીમાં દુખાવા સાથે બેચેની શરૃ થઇ હતી. થોડી જ વારમાં તેઓને ઉલટી થઇ હતી. આ ઉલટી પૂરેપૂરી બહાર નહીં નીકળતા શ્વાસ નળીમાં ફસાઇ ગઈ હતી. તેઓનો શ્વાસ રૃંધાવા લાગતા તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.પરંતુ, તેઓનો જીવ બચ્યો નહતો. પોલીસ દ્વારા તેમના મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હે.કો.રણજીતસિંહે જણાવ્યું હતું કે, ડોક્ટરના પ્રાથમિક અભિપ્રાય મુજબ, દર્શકભાઇને એટેક આવ્યો હતો. એટેક આવતા અગાઉ જે ઉલટી થઇ. તે ઉલટી શ્વાસનળીમાં ફસાઇ ગઇ હતી.