સિહોર : ઓવરબ્રિજ ન બને ત્યાં સુધી રેલવે ફાટક ખુલ્લું રાખવા આદેશ
- લેવલ ક્રોસિંગ બંધ રાખવાની સમયમર્યાદા વધારવા એનઓસી મંગાતા કલેક્ટરે નિર્ણય લીધો
- અંડરબ્રિજમાંથી એસ.ટી. બસ, મોટા વાહનો સરળતાથી પસાર ન થઈ શકતા નથી, વિવિધ સંગઠનો-સંસ્થાઓની રજૂઆત ફળી
સિહોરના ઘાંઘળી ફાટર પર ઓવરબ્રિજનું કામ બે વર્ષ ચાલવાના કારણે નેસડાથી રંગોલી ફાટક થઈ સિહોર માટે બાયપાસ આપવામાં આવ્યું છે. જેના કારણે વાહનચાલકોને આવવા-જવા માટે ૫૦થી ૬૦ કિ.મી. જેટલું અંતર કાપવું પડતું હોય, જ્યાં સુધી ઓવરબ્રિજનું કામ પૂરૂં ન થાય ત્યાં સુધી નેસડા ફાટકને ભારે વાહનો માટે ખોલવાની સિહોરની વિવિધ સંસ્થાઓ, એસોસિયેશને માંગ કરી હતી.દરમિયાનમાં નેસડા જવાના રસ્તા પર રેલવેના લેવલ ક્રોસિંગ નં.૨૦૫-એક્સને બંધ રાખવા માટેની સમયમર્યાદા વધારીને તા.૩૧ જુલાઈ સુધીની કરી આપવા બાબતે એનઓસી માંગવામાં આવ્યું હતું. સિહોર નાયબ કલેક્ટરના અભિપ્રાય સહ રજૂ થયેલાં અહેવાલને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલે નિર્ણય લેતાં જણાવ્યું હતું કે, રેલવેના લેવલ ક્રોસિંગ નં.૨૦૫-એક્સની બાજુમાં આવેલા અંડરબ્રિજની ડિઝાઈનના કારણે તેમાંથી એસ.ટી. બસ, મોટા ટ્રક સહિતના વાહનો સરળતાથી પસાર થઈ શકતા ન હોવાથી ટ્રાફિકની સમસ્યાની શક્યતા વધી હતી.જેનોે આગોતરો ઉકેલ લાવવા માટે જ્યાં સુધી સિહોરથી ઘાંઘળી જતાં રસ્તા પર ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રેલવે પ્રશાસન દ્વારા લેવલ ક્રોસિંગ નં.૨૦૫-એક્સ (રેલવે ફાટક)ને ખુલ્લું રાખવાનું રહેશે તેમજ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ દરખાસ્ત રજૂ થયે એનઓસી આપવા વિચારણાં કરાશે તેવો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે.નેસડા ફાટક ખોલવાનો નિર્ણય થતાં વાહનચાલકોને રાહત મળી છે.