Gujarat

પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી

By GS TEAM
8 Sep 20251 min read
પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી

- સિહોર પોલીસ મથકમાં 5 શખ્સો સામે ગુનો નોંધાયો

- અલગ-અલગ સમયે રોકાણ માટે પૈસા મેળવી કુલ રૂા. 1.25 કરોડની છેતરપિંડી કરી

ભાવનગર : સિહોરના સાગવાડી ગામે રહેતા વકિલ સાથે તેના પરિચિત કુંટુંબીઓઆએ પશુઆહારના ધંધામાં અલગ-અલગ સમયે રોકાણ કરાવી રૂ.૧.૨૫ કરોડની છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

સિહોરના સાગવાડી ગામે રહેતા અને સિહોરમાં વકીલાતનો વ્યવસાય કરતા કાંતિભાઈ ટપુભાઈ ચૌહાણે સિહોર પોલીસ મથકમાં વિનોદ બુધાભાઈ મકવાણા, દિપક બુધાભાઈ મકવાણા, જયસુખ ઘનશ્યામભાઈ, ભાર્ગવ દિનેશભાઈ, હિતેશ બાબુભાઈ મકવાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત તમામ સાથે તેમને ઘનિષ્ટ સંબંધ હોય વર્ષ ૨૦૨૨માં ઉક્ત વિનોદભાઈ તેમની ઓફિસે આવી પશુઆહારની લે-વેચના ધંધામાં નફો સારો મળતો હોવાથી આ ધંધા રોકાણની વાત કરી હતી. જેથી અલગ-અલગ સમયે તેમણે તથા તેમના દિકરા અને મિત્રો અને કુટુંબીઓએ કુલ ૧.૪૫ કરોડ રૂપિયાનું પશુઆહારના ધંધામાં રોકાણ કર્યું હતું. જેમાંથી ઉક્ત લોકોએ તેમને રૂ.૧૯.૧૯ લાખ પરત આપ્યા હતા અને બાકીના રૂ.૧.૨૫ કરોડ પરત નહી આપી તેમના રૂપિયા અંગત ઉપયોગ માટે વાપરી નાખ્ય હતા. આ અંગે સિહોર પોલીસે ગુનો નોંધ્યો છે.