બાળકોના ગુમ થવાની કિસ્સા વધવાની સામે કેસ ઉકેલવાનું પ્રમાણ સૌથી ઓછું
સર્ચ માય ચાઇલ્ડ દ્વારા ફરીથી આંદોલન શરૂ કરાશે
લાપતા બાળકોના વાલીઓની મિટીંગ કરીને કેસની તપાસ યોગ્ય દિશામાં થાય તે અંગે માંગણી કરવામાં આવશે
અમદાવાદ,બુધવાર
અમદાવાદમાં થોડા વર્ષ પહેલા બાળકીઓ લાપત્તા થવાના કેસમાં વધારો થતા સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા દ્વારા મોટા પ્રમાણમાં આંદોલન કરીને રાજ્ય સરકાર દ્વારા આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હજુ પણ બાળકોના લાપત્તા થવાની સામે કેસ ઉકેલવાનું પ્રમાણ ઓછું છે. જેથી ફરીથી લાપત્તા બાળકો શોધવાની કામગીરી યોગ્ય દિશામાં થાય તે માટે સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે.
અમદાવાદમાં ૧૨ વર્ષ પહેલા વિશ્વા પટેલ સહિતના બાળકોના લાપત્તા થવાના મામલે વાલીઓ દ્વારા સર્ચ માય ચાઇલ્ડ નામની સંસ્થા સાથે મળીને મોટા પ્રમાણમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં લાપત્તા થયેલા બાળકોની તપાસ માટે ગૃહ વિભાગ દ્વારા ખાસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. જો કે એ સમયે લાપત્તા થયેલા અનેક બાળકો અંગે પોલીસને ભાળ મળી નથી. આ સાથે ફરીથી બાળકોના લાપત્તા થવાના કિસ્સા વધી રહ્યા છે. જેની સામે ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળતી નથી. ત્યારે સર્ચ માય ચાઇલ્ડના ફાઉન્ડર સંજય જોષીએ જણાવ્યું કે આગામી સમયમાં લાપત્તા બાળકોના વાલીઓની મિટીંગ કરીેને ગાંધીનગર ખાતે ડીજીપી કક્ષાએ રજૂઆત કરાશેે.જેમાં કેસની તપાસ સિનિયર અધિકારીના સુપર વિઝનમાં કરવામાં આવે તેમજ કેટલાંક કિસ્સામાં ખાસ ટીમ બનાવીને તપાસ કરવામાં આવે તે માટે માંગણી કરવામાં આવશે.