માનદરવાજા ટેનામેન્ટ રિડેવલપમેન્ટ માટે સુરત પાલિકાએ ગ્રાહ્ય રાખેલા ટેન્ડરને સ્ક્રીનીંગ કમિટિની લીલી ઝંડી
Surat : સુરતના રીંગરોડ વિસ્તારમાં વર્ષો પહેલા બનેલા અને હાલ જર્જરિત થયેલા માનદરવાજા ટેનામેન્ટ રિડેવલપમેન્ટ માટે આખરે હાલ માર્ગ મોકળો થયો છે. સાતમા પ્રયાસે પાલિકાએ શાંતિ કન્ટ્રકશનનું 55.44 કરોડનું નેગેટીવ આવ્યું હતું જે આગળની ઓફર કરતાં ફાયદાકારક હતું જેને સ્થાયી સમિતિએ મંજૂર કર્યું હતું. માનદરવાજા ટેનામેન્ટ રિડેવલપમેન્ટ માટે પાલિકાએ ગ્રાહ્ય રાખેલા ટેન્ડરને સ્ક્રીનીંગ કમિટિની લીલી ઝંડી આપી છે જેના કારણે હવે માન દરવાજા ટેનામેન્ટના 1300 જેટલા પરિવારોને રાહત થશે.
સુરતના રીંગરોડ પર 1300 થી વધુ પરિવારો વસવાટ કરતા હતા તે માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પાલિકા માટે માથાનો દુખાવો બની ગયું હતું. પાંચ વર્ષ સુધી 5 વખત ટેન્ડર બહાર પડાયા પરંતુ કોઈ એજન્સી આગળ આવતી ન હતી. 1300 પરિવારનો પ્રશ્ન હોય પાલિકાએ છઠ્ઠી વખત ટેન્ડર બહાર પાડ્યા હતા જેમાં ઇજારદારે પાલિકાનું નાક દબાવીને બી.એચ.પટેલ દ્વારા 33 કરોડના ટીડીઆર તથા 181.79 કરોડનું નેગેટિવ પ્રીમિયમ ભર્યું હતું. જોકે સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે હિમત ભર્યો નિર્ણય કરીને આ ટેન્ડર દફતરે કરી નવેસરથી ટેન્ડર બહાર પાડ્યા હતા. જેનો સીધો ફાયદો હાલ સુરત પાલિકાને થઈ રહ્યો છે.
સુરત પાલિકાએ સાતમી વાર ટેન્ડર બહાર પાડ્યા હતા જેમાં ત્રણ વખત ટેન્ડરની સમય મર્યાદા લંબાવવામાં આવી હતી. ત્યારબાદ પાલિકાને શાંતિ કંસ્ટ્રક્શન પ્રાલિ.ની 55.44 કરોડની નેગિટિવ પ્રિમિયમની ઓફર મળી હતી આ દરખાસ્ત સ્થાયી સમિતિએ માન્ય રાખી હતી જેના કારણે અગાઉની દરખાસ્ત કરતા પાલિકાને 123.39 કરોડની બચત થઈ હતી. રાજ્ય સરકારની જાહેર આવાસોનો પુન:વિકાસ યોજના હેઠળ જે પ્રોજેક્ટમાં નેગેટીવ પ્રિમિયમ સાથેનું ટેન્ડર રજુ કરવામાં આવે તો રાજ્ય કક્ષાની સ્ક્રીનિંગ કમિટીની મંજુરી લેવી જરૂરી છે. જેને પગલે સ્થાયી સમિતિની બેઠકમાં શાંતિ કન્ટ્રક્શન નું ટેન્ડર મંજુર થયા બાદ પાલિકા દ્વારા સ્ક્રીનિંગ કમિટી પાસે અંતિમ મંજૂરી માંગવામાં આવી હતી. સોમવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં કમિટી દ્વારા માનદરવાજા ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ માટે ની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેતા માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટનું કોકડું ઉકેલાયુ હોવાથી 1300 થી વધુ પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે.