વડોદરા સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનની હદમાંથી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા વિશ્વામિત્રી નદીની માટીનો જથ્થો બિલ્ડરોને વેચવામાં આવતો હોવાનો આક્ષેપ
Vadodara : પાવાગઢથી પીંગલવાડા સુધી અને વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે સતત ત્રણ વખત પૂર આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી ઊંડી અને પહોળી કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે આડેધડ ચાલતા માટી ખોદકામને કારણે ચોમાસામાં શું પરિસ્થિતિ થશે તે તો આગામી સમયમાં ખબર પડશે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરની હદમાં કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી માટી ખોદકામ કર્યા બાદ ખાનગી બિલ્ડરોને માટી વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાના આક્ષેપો વિશ્વામિત્રી બચાવ સમિતિ અને કેટલાક સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં ગત ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં ત્રણ વાર પૂર આવ્યું હતું. જેનાથી શહેરીજનો ભારે તકલીફમાં મુકાયા હતા. ત્યારબાદ કરોડો રૂપિયાનો વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ આડેધડ માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરની હદમાં કોર્પોરેશન દ્વારા ચાર ભાગમાં માટી ખોદકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે જ્યારે પાવાગઢ થી વડોદરા અને મુંજ મહુડાથી પીંગલવાડા સુધીનો કોન્ટ્રાક્ટ સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે રોજની હજારો ક્યુબિક મીટર માટીનો જથ્થો કાઢીને નદી પહોળી કરવામાં આવી રહી છે ત્યારે આ માટીનો જથ્થો સિંચાઈ વિભાગના કેટલાક કોન્ટ્રાક્ટરના માણસો અને સરપંચો ભેગા મળી આજુબાજુના ગામોની બિલ્ડરોએ ખરીદ કરેલી જમીનોમાં માટી ઠાલવવામાં આવે છે એ જ રીતે વડોદરા શહેરમાંથી પણ માટીનો કેટલોક જથ્થો બારોબાર વેચી દેવામાં આવે છે અને એક ડમ્પરના બેથી ત્રણ હજાર પડાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.
આ માટીનો જથ્થો જરૂરિયાતમંદોને વિનામૂલ્યે માટી આપવાની તંત્ર દ્વારા જાહેરાત થઈ હતી છતાં પણ અનેક અરજદારોને હજી સુધી માટી મળી નથી જ્યારે બીજી બાજુ દૂર-દૂરના ગામડાઓમાં માટી ભરેલા ડમ્પરો કેવી રીતે પહોંચી જાય છે એ અંગે તપાસ કરવી અત્યંત જરૂરી છે. જો યોગ્ય રીતે તપાસ થાય તો બસ મોટું કૌભાંડ બહાર આવી શકે છે તેવા આક્ષેપો થયા છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ગત ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં ત્રણવાર પૂર આવ્યું હતું અને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. દિવસો સુધી પૂરના પાણી લોકોના ઘરમાંથી ઓસર્યાનો હતા. પરિણામે રાજ્ય સરકારે વિશ્વામિત્રી ઊંડી અને પહોળી કરવા બાબતે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો. જોકે નદી પહોળી અને ઊંડી કરવા અંગે નદીમાંથી અત્યાર સુધીમાં 16 લાખ ક્યુબિક માટી નીકળી હોવાનું વિશ્વામિત્રી બચાવો સમિતિના વકીલ શૈલેષ અમીન સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી અને કમલેશ પરમાર દ્વારા જણાવાયું છે. નદીની નીકળતી માટી જેમને પણ જોઈએ એમને અરજી કરવાથી વિના મૂલ્યે મળી જશે એવું તંત્ર દ્વારા જણાવાયું હતું પરંતુ કેટલાય અરજદારોને આજ દિન સુધી માટી મળી નહીં હોવાનું પણ વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા જણાવાયું છે.
માટી ભરેલા ડમ્પરો શહેર નજીકના ગામડાઓમાં પહોંચી જતી હોવાના આક્ષેપ કરીને વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા જણાવાયું છે કે જો આ બાબતે યોગ્ય તપાસ થાય એ અત્યંત જરૂરી છે.