Gujarat

એસબીઆઈ બેન્ક સાથે પંજરી એગ્રો દ્વારા 3.42 કરોડ રૂપિયાની છેતરપિંડી

By GS TEAM
29 Oct 20252 mins read
એસબીઆઈ બેન્ક સાથે પંજરી એગ્રો દ્વારા 3.42 કરોડ રૂપિયાની છેતરપિંડી

ગાંધીનગર જીઆઇડીસીના ઇલેક્ટ્રોનિક્સ એસ્ટેટમાં આવેલી

બેંકના તારણમાં મૂકવામાં આવેલી મશીનરી પણ ભાગીદારો દ્વારા બારોબાર વેચી દેવામાં આવી : પોલીસની તપાસ

ગાંધીનગર: ગાંધીનગર શહેરની જીઆઇડીસી ઇલેક્ટ્રોનિક્સ એસ્ટેટમાં આવેલી એસબીઆઈ બ્રાન્ચમાં પંજરી એગ્રો પ્રોસેસિંગ એલએલપી નામની કંપનીના ભાગીદારો દ્વારા લોન લેવામાં આવી હતી અને ત્યારબાદ તારણમાં મૂકવામાં આવેલી મશીનરી પણ બારોબાર વેચી દેવાઈ હતી. આમ બેંક સાથે કુલ ૩.૪૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા સીઆઈડી ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં રાષ્ટ્રીય કૃત બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના ગાંધીનગરમાં જીઆઇડીસી ખાતે આવેલી એસબીઆઇ બેન્ક સાથે બનવા પામી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બેંકના મેનેજર દિનેશકુમાર લક્ષ્મણરામ સુથાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, પંજરી એગ્રો પ્રોસેસિંગ એલએલપી નામની કંપનીના ભાગીદારો સ્વ. દિલીપભાઈ જીવરાજભાઈ રામી,મેહુલ હસમુખભાઈ વાળંદ અને ચિંતન શાંતિલાલ પરમાર દ્વારા વર્ષ ૨૦૨૦માં બેંકમાંથી બે કરોડની કેસ ક્રેડિટ લોન અને ૮૦ લાખની લોન લેવામાં આવી હતી. જેની સામે કંપની માટે ખરીદવામાં આવેલી મશીનરી બેંકના તારણમાં મૂકવામાં આવી હતી. જોકે આ ભાગીદારો દ્વારા લોનના નાણા સમયસર ભરવામાં આવ્યા ન હતા. જેના કારણે બેંક દ્વારા ૨૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ એનપીએ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ કંપની પાસેથી કુલ ૩.૪૨ કરોડ રૂપિયા લેવાના બાકી નીકળતા હતા. જેથી બેંક દ્વારા સ્થળ ઉપર જઈને તારણમાં મૂકવામાં આવેલી મશીનરી સીઝ કરવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે જાણવા મળ્યું હતું કે આ ભાગીદારો દ્વારા બેંકની જાણ બહાર તારણમાં મૂકવામાં આવેલી મશીનરીનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું છે અને બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. જેથી હાલ બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ભાગીદાર નિકોલ ખાતે રહેતા ચિંતન શાંતિલાલ પરમાર અને અમદાવાદ જોધપુર ખાતે રહેતા મેહુલ હસમુખભાઈ વાળંદ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.