VIDEO: અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે 'ઇંગોરીયા યુદ્ધ'ની 150 વર્ષ જૂની અનોખી પરંપરા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Ingoriya Yuddha History: દેશભરમાં દીપાવલીનું પર્વ ફટાકડા ફોડીને ઉજવવામાં આવે છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં વર્ષોથી એક અનોખી અને રોમાંચક પરંપરા ચાલી આવી છે – 'ઇંગોરીયા યુદ્ધ' રમવાની. દિવાળીની રાત્રે અહીં જાણે રણમેદાનમાં યુદ્ધ ખેલાતું હોય તેવો માહોલ સર્જાય છે, જે હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના દ્રશ્યોની યાદ અપાવે છે.
150 વર્ષ જૂની પરંપરા
સંત અને શૂરાની ભૂમિ ગણાતા સાવરકુંડલામાં લગભગ 150 વર્ષથી આ ઇંગોરીયા યુદ્ધની રમત રમાઈ રહી છે. ઇંગોરીયા એક પ્રકારનો હર્બલ ફટાકડો છે, જે હાથમાં ફળની જેમ પકડીને એકબીજા પર ફેંકવામાં આવે છે. દીવાળીની રાત્રે દેવળા ગેટથી લઈને નાવલી નદી સુધીનો વિસ્તાર આ 'યુદ્ધ'નું મેદાન બની જાય છે. રાત્રીના અંધારામાં ખેલાતી આ અનોખી રમતનો આનંદ લેવા માટે બહારથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે.
ઇંગોરીયા યુદ્ધનો ઇતિહાસ
આ ઇંગોરીયા યુદ્ધ કોઈપણ જ્ઞાતિવાદ કે જાતિવાદ વિના હિન્દૂ-મુસ્લિમો હળી મળીને રમે છે. જે સાવરકુંડલાની કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ આ યુદ્ધનો મુક્ત મને આનંદ માણ્યો હતો અને ઇંગોરીયા ફેંક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇંગોરીયા યુદ્ધ એ સાવરકુંડલાનો ઇતિહાસ અને શૌર્ય સાથે સંકળાયેલો છે.
વિદેશથી આવેલા લોકો પણ આ યુદ્ધના માહોલથી અભિભૂત થયા હતા. કેનેડાથી આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે ઇંગોરીયા યુદ્ધનો આનંદ જોઈને સાવરકુંડલા આવવાનો ધક્કો વસુલ થઈ ગયો.
ઇંગોરીયા યુદ્ધ સાવરકુંડલાની વિશેષતા
આ અગનગોળાના યુદ્ધ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ, ફાયર અને ડોક્ટરોની ટીમ પણ ખડેપગે રાખવામાં આવે છે. સાવરકુંડલાના નાગરિકો દિવાળીના પ્રકાશના પર્વમાં અંધારામાં ખેલાતી આ આગના ગોળાઓની રમતમાં નિર્દોષ આનંદ માણીને પોતાની આગવી પરંપરાને જીવંત રાખે છે. દેશભરમાં આ આગવી ઓળખ બની રહેલું ઇંગોરીયા યુદ્ધ ખરેખર સાવરકુંડલાની વિશેષતા છે.








