સૌરાષ્ટ્ર યુનિ.ની આજથી બીજા તબક્કાની પરીક્ષાઓનો પ્રારંભ
-બી.એ., બી.કોમ., બી.એસસી, બી.બી.એ, બી.સી.એ.ના સેમેસ્ટર-4 સહિતની પરીક્ષા 59694 વિદ્યાર્થીઓ આપશે
રાજકોટ, તા.25 માર્ચ 2019,સોમવાર
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આવતીકાલ તા. ૨૬થી બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થશે. સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન ૧૫૬ કોલેજમાં અંદાજે ૫૯૬૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ૩૦૦ ઓબ્ઝર્વરની ટીમને કામે લગાડવામાં આવી છે.
યુનિ.ની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ પરીપૂર્ણ થયા બાદ બી.એ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએના ચોથા સેમેસ્ટર સહિતની પરીક્ષાનો આવતીકાલ તા. ૨૬થી પ્રારંભ થશે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા સંદર્ભે કુલનાયક ડો. દેશાણીએ જણાવ્યું હતું કે યુનિ. કેમ્પસમાંથી ઓનલાઈન મોનીટરીંગની સિસ્ટમ કાર્યરત છે.
ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્રોમાં ઓબ્ઝર્વરની ટીમ મુકવામાં આવી છે તેમજ પ્રથમ તબક્કામાં જસદણ, મૂળી, રાજુલા અને થાનગઢના જે પરીક્ષા કેન્દ્રો રદ કરવામાં આવ્યા છે તે પૈકી કેટલાકને ચાલુ કરાવવા માટે ખુબ રાજકીય ભલામણો થઈ છે પરંતુ તે કેન્દ્રોને પુનઃ જીવિત કરવામાં આવ્યા નથી. તેથી પરીક્ષામાં ગેરરીતિ ઉપર અંકુસ આવ્યો છે.
જુદા જુદા ૬ તબક્કા સુધી આ કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં નહીં આવે. વધુમાં સ્નાતક કક્ષાની પરીક્ષાના પરિણામો સમયસર વિદ્યાર્થીઓને મળી રહે તે માટે ઉતરવહી અવલોકનની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.