સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત
Sardar Sarovar Dam water level : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. પાણીની સતત આવક થતાં ગુરુવારે ડેમના પાંચ દરવાજા ખોલીને 1.36 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે આજે બપોરે 3 કલાકથી નર્મદા નદીમાં 4,36,000 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે નદીકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
પાણીની આવક અને જાવક
છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 2.44 મીટરનો વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર આજે સવારે 10 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 133.02 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 4,74,093 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદીમાં 2,86,962 ક્યુસેક અને કેનાલમાં 5,985 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 7697.20 MCM છે અને પાણીનો સંગ્રહ 81.37 ટકા જેટલો થયો છે. પાણીની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને, નદીકાંઠાના ગામોના નાગરિકોને સલામતી માટે સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

