સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું
Sardar Sarovar Dam water level : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. પાણીની સતત આવક થતાં બે દિવસમાં 5.72 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે. જેને પગલે નદીકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે ભરૂચમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ હતી.
પાણીની આવક અને જાવક
છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવમાં આવ્યું છે. સિઝનમાં પ્રથમવાર આજે સવારે 10 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 133.48 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 4,33,420 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદીમાં 4,02,756 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 4139.80 MCM છે અને પાણીનો સંગ્રહ 83.37 ટકા જેટલો થયો છે. પાણીની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને, નદીકાંઠાના ગામોના નાગરિકોને સલામતી માટે સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.