Saputara Accident: સાપુતારાના માલેગામ ઘાટ પર એક GSRTC બસનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સામેથી આવતા એક બાઇક ચાલકનું મોત નિપજ્યું છે અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. નાસિકથી પાટણ જતી એસ.ટી બસની બ્રેક ફેઇલ થઈ જવાના કારણે અકસ્માત સર્જાયાનું સામે આવ્યું છે. જોકે, બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, નાસિકથી પાટણ જતી GSRTC બસનો સાપુતારાના માલેગામ ઘાટ નજીક અકસ્માત થયો હતો. 35 મુસાફરથી ભરેલી બસ જ્યારે ઘાટ ઉતરી રહી હતી, ત્યારે અચાનક બસની બ્રેક ફેઇલ થઈ ગઈ હતી. આ દરમિયાન સામેથી બે બાઇક ચાલક આવી રહ્યા હતા. જોકે, ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બાઇક ચાલકોને બચાવવા માટે શક્ય તેટલું બસને વળાંક આપી બાજુના ઝાડ પાસે અથડાવી. જેના કારણે બસ ખીણમાં ન ખાબકી અને મોટો અકસ્માત થતો અટક્યો. જોકે, આ દરમિયાન સામેથી આવતા બાઇકચાલકમાંથી એકનું મોત નિપજ્યું છે અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
આ પણ વાંચોઃ SIR અપડેટ : ગુજરાતમાં એક દિવસમાં વધુ 3.75 લાખ મતદારોના નામમાં ગરબડ પકડાઈ
પોલીસે હાથ ધરી તપાસ
બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને મૃતકના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. હજુ સુધી મૃતક અને ઈજાગ્રસ્તની ઓળખ વિશે કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


