નડિયાદ મનપામાં સફાઈ કામદારોની હડતાળ : શહેરના મુખ્ય માર્ગો પર કચરાના ઢગ ખડકાયાં
- સફાઈ કર્મીઓને કરારમાંથી એજન્સીમાં જોડવાના નિર્ણયનો વિરોધ
- શીલત ગ્રાઉન્ડ, પારસ સર્કલ, મંજીપુરા રોડ ઉપર કચરો 24 કલાકથી યથાવત્ : કેટલાક સફાઈ કર્મચારીઓએ નાગરિકોના હિતમાં કચરો વાળી એકત્ર કર્યો પણ ઉપાડયો નહીં
નડિયાદમાં આજે સફાઈ કામદારો સહિત સેનેટરીના અન્ય કરારી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા હતા. અચાનક કર્મચારીઓને કરારમાંથી આઉટસોર્સિંગ એજન્સીમાં જવાનું દબાણ કરાયું હતું. તે બાદ કર્મચારીઓએ સોમવારે સવારે કમિશનર સાથે કરેલી બેઠક નિષ્ફળ રહી હતી. કમિશ્નર અને બે ડે. કમિશ્નરે કર્મચારીઓને એજન્સીના લાભ દર્શાવવા અનેકો પ્રયાસ કર્યા, પરંતુ કર્મચારીઓએ મૂળ તેમના કરારની શરતોનો ભંગ થયાની વાત પકડી રાખી હતી. ત્યારે કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. જેના કારણે શહેરમાં સફાઈનું કામ ઠપ થઈ ગયું હતું. કેટલાક કર્મચારીઓએ આજે નાગરીકોના હિતમાં જાહેર રસ્તા પરનો કચરો વાળી એકત્ર કર્યો હતો પરંતુ એક પણ કચરાના સ્પોટ પરથી કચરો ભરવાની કામગીરી કરાઈ નહોતી. ત્યારે પારસ સર્કલ પાસે, શીતલ ગ્રાઉન્ડ સામે, અર્બન હેલ્થ સેન્ટર-૨ની સામે, મંજીપુરા રોડ પર, સ્ટેશન રોડ પર કચરો પડેલો જણાયો હતો. પશ્ચિમમાં પણ અનેક સ્થાને કચરાના ઢગ ખડકાયા હતા. દિવસભર પવન ફૂંકાતા કચરો તમામ જાહેર માર્ગો પર ઉડીને પડયો હતો. એકતરફ તંત્ર પોતાના નિર્ણય પર અડગ છે. તો બીજી તરફ કર્મચારીઓ લડાયક મૂડમાં છે. તેવા સંજોગોમાં હાલ નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે.
સફાઈ કામદારોએ મનપા વહિવટદારને આવેદનપત્ર આપ્યું
તમામ કરારી સફાઈ કામદારોએ આજે પોતાના અખિલ ભારતીય મજદૂર સંઘ અને અન્ય યુનિયનોના અગ્રણીઓને સાથે રાખી કલેક્ટર કચેરીએ પહોંચી મનપા વહીવટદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કર્મચારીઓને કાયમી કરવાના બદલે એજન્સીમાં લઈ નુકસાન કરવામાં આવતું હોવા મામલે યોગ્ય નિર્ણય લેવા માંગણી કરી હતી.
એજન્સી દ્વારા તો નગરપાલિકા વખતના પગાર પણ ચૂકવવાના બાકી
અગાઉ તત્કાલિન નડિયાદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી મહેસાણાની રાધે એજન્સી થકી ઓફિસ સ્ટાફ, વોટર વર્ક્સ અને અન્ય વિભાગોના સ્ટાફની ભરતી કરાઈ હતી. આ કર્મચારીઓને ૨૦૨૪ના આઠ અને ૨૦૨૫ના ત્રણ મળીને ૧૧ મહિનાનો પગાર હજૂ બાકી છે. બાકી પગાર મનપા પાસે માંગે તો તંત્ર આ કર્મીઓને એજન્સીના હવાલે કરી દે છે. જ્યારે એજન્સી મનપાએ પુરતા નાણાં ન જમા કરાવ્યા હોવાનું રટણ કરી રહી છે.