Get The App

ભાદરવા અને પરથમપુરામાં ગ્રામજનોએ લગાવેલી લોખંડની એંગલો રેતી માફિયાઓએ તોડી નાંખી

ડમ્પરનો બે યુવાનોને કચડવાનો પ્રયાસ ઃ બેફામ દોડતા ડમ્પરોના કારણે જાહેર સલામતી જોખમમાં

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
ભાદરવા અને પરથમપુરામાં ગ્રામજનોએ લગાવેલી લોખંડની એંગલો રેતી માફિયાઓએ તોડી નાંખી 1 - image

વડોદરા, તા.28 વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા તેમજ પરથમપુરા ગામે મહી નદીમાંથી ગેરકાયદે રેતીખનન કરતા રેતી માફિયાઓના ત્રાસથી ગ્રામજનો ત્રાસી જતા ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી છે.

ભાદરવા અને પરથમપુરાના ગ્રામજનોએ તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ગેરકાયદે રેતીખનન કરતાં તત્વો અને રેતી ભરેલા ડમ્પરોના ડ્રાઇવરો ગામમાંથી બેફામ વાહનો ચલાવે છે જેમાં કેટલાંક ડ્રાઇવરો તો દારૃ પીધેલા હોય છે. બે દિવસ પહેલાં જ એક ડમ્પરે બાઇક પર જતાં બે યુવાનોને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.

ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતાં કે આ ગેરકાયદે પ્રવૃત્તિના કારણે સરકારને કરોડો રૃપિયાનું નુકસાન થાય છે તેમજ ગામની જાહેર સલામતી માટે પણ ખતરો ઊભો થાય છે. આ વિસ્તારમાં ત્રણ મોટી સ્કૂલો આવેલી છે જેમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બ્રહ્માણી માતા, ગાયત્રી માતા તેમજ ચેહર માતાનું મંદિર આવેલું છે અને રમતગમતનું મેદાન પણ છે, નાના બાળકોથી માંડી યુવાનો તેમજ ખેતરમાં રહેતા અને કામ કરતા ખેડૂતોની રોજે રોજ અવરજવર રહે છે તે તમામની સલામતી બેફામ દોડતા ડમ્પરોના કારણે જોખમાઇ છે.

વારંવાર ફરિયાદો કરવા છતાં કોઇ નિરાકરણ નહી આવતા આખરે ડમ્પરો જે માર્ગે પસાર થાય છે ત્યાં લોખંડની એંગલો લગાવીને પ્રવેશબંધી કરી હતી પરંતુ રેતીચોરોએ આવીને તે એંગલ તોડી નાંખી હતી અને ધમકીઓ આપી ફરીથી તે જ માર્ગે ડમ્પરોની અવરજવર શરૃ કરી દેવાઇ છે.



Tags :