Gujarat

અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો

By GS TEAM
12 Oct 20252 mins read
અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને  ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો

અમદાવાદ,રવિવાર

અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક ૧૧ વર્ષ પહેલા થયેલા માર્ગ અકસ્માતમાં કારચાલકનું મોત નીપજ્યું હોવા છતાંય, ફરીયાદી યુવકે પોતે જ કાર ચલાવતો હોવાની અને મૃતક ડ્રાઇવર સીટ પર બેઠો હોવાનું ખોટી વિગતો આપીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ  મૃતકના પરિવારજનોએ વીમા કંપનીમાં ૨૫ કરોડનો વાદો કરતા કંપની દ્વારા કરવામાં આવેલી તપાસ અને એફએસએલના રિપોર્ટમાં ફરિયાદીની પોલ ખુલી પડી હતી. આ અંગે સાણંદ પોલીસે વીમા કંપનીની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના સીજી રોડ પર આવેલા ટકકોઇસ બિલ્ડીંગમાં આવેલી બજાજ આલિયાન્ઝ ઇન્સ્યોરન્સ કંપનીના વાહન અકસ્માતના ક્લેઇમ અંગેની કામગીરી સંભાળતા ગૌરાંગભાઇ રવિયાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે સાણંદ પોલીસ સ્ટેશનમાં  એપ્રિલ ૨૦૧૪માં ફરિયાદ નોંધાઇ હતી કે  મહેસાણા રાધનપુર રોડા પર આવેલા  તુલસી બંગ્લોઝમાં રહેતા બિપીન પટેલ કાર ચલાવતા હતા. ત્યારે રસ્તામાં કુતરૂ આવી જતા અકસ્માત થયો હતો. જેમાં બિપીન પટેલ સાથે કારમાં જઇ રહેલા અમૃતભાઇ સોરઠીયા (રહે. સીણાય ગામ, ગાંધીધામ, ભૂજ)ને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ અકસ્માતમાં ભોગ બનેલા અમૃતભાઇના પત્ની ચેતનાબેન અન્ય પરિવારજનોએ કચ્છ-ભૂજની મોટર વાહન અકસ્માત વળતર ટ્રીબ્યુનલમાં રૂપિયા ૨૫ કરોડના વળતરનો દાવો વીમા કંપનીમાં કરાયો હતો. 

આ અનુસંધાનમાં વીમા કંપનીએ અકસ્માતના કેસની ફરિયાદ અને ચાર્જશીટની સમીક્ષા કરતા જાણવા મળ્યું હતું કે  આરોપી બિપીન પટેલને નિર્દોષ છોડી મુકાયા હતા. પરંતુ, વીમા કંપનીમાં કરવામાં આવેલા જંગી રકમના દાવા અંગે અને અકસ્માતમાં બિપીન પટેલને કોઇ ઇજા ન થવા અંગે શંકા ઉપજી હતી. જેથી સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

જેમાં અકસ્માતની પેટર્ન અંગે વીમા કંપનીની રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટેની સુચનાથી એસઆઇટી તૈયાર કરવામાં આવી હતી અને એફએસએલના રિપોર્ટમાં આવ્યું હતું કે મૃતક અમૃતભાઇની ઇજા  કાર ચલાવતા હોવાથી થઇ હતી. જેના આધારે  એસઆઇટીએ રિપોર્ટ આપ્યો હતો કે કાર અમૃતભાઇ  સોરઠીયા ડ્રાઇવીંગ કરતા હોવા છતાંય, તે ડઇવર સીટ પર બેઠેલા  હોવાનું જણાવીને બિપીન પટેલે ગુનાહિત કૃત્ય આચર્યુ હતું. એટલું જ નહી કારના માલિક મૈતુકભાઇ પટેલ આ બાબત જાણતા હતા. જેથી ખોટી ફરિયાદ અંગે સાણંદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.  પોલીસ દ્વારા આ કેસમાં ૨૫ કરોડનો વળતર દાવો કરનાર પરિવારજનોની પણ પુછપરછ કરવામાં આવશે.