સાણંદમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ: યુવકનું અપહરણ કરી માર મરાયો, પાંચ આરોપીની ધરપકડ
Sanand Crime: સાણંદમાં 31 મેના રોજ નોંધાયેલા અપહરણ અને હુમલાના કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. શંકાસ્પદ પ્રેમ સંબંધને કારણે એક યુવકને ઉપાડી જઈ સ્મશાનમાં માર મારવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ મામલે ફરિયાદ નોંધાતા સાણંદ અને અમદાવાદ પોલીસે સાથે મળીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટ લોકમેળો: રાઈડ સંચાલકોની માંગણી છતાં SOP હળવી નહીં થાય, કલેક્ટરનું સ્પષ્ટ વલણ
પ્રેમ સંબંધમાં દીકરીના પિતાએ પ્રેમી યુવકનું અપહરણ કરીને માર માર્યો
પોલીસ ફરિયાદ અનુસાર, નિધરાડ ગામના જયેશ ઠાકોર અને ત્રણ અજાણ્યા શખ્સોએ બપોરે 3 વાગ્યે પીડિતનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું. આરોપી કથિત રીતે પોતાની દીકરી સાથેના પ્રેમ સંબંધના કારણે રોષે ભરાયો હતો. આ અદાવત રાખી આરોપી પોતાના મિત્રો સાથે કારમાં આવ્યો અને એકલિંગજી નજીકના ત્રણ રસ્તા પાસેથી ફરિયાદીનું અપહરણ કરી લીધું. બાદમાં તેને નિધરાડ ગામના સ્મશાનમાં લઈ જઈ તેને ઈંટ, લોખંડની પાઇપ અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ. આ સિવાય આરોપીઓએ પીડિતને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
શું હતી ઘટના?
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી જયેશની 19 વર્ષીય દીકરી અને ફરિયાદી શનિ ઠાકોર છેલ્લા સાત વર્ષથી પ્રેમસંબંધમાં હતા. જેથી આરોપી જયેશે વારંવાર ચેતવણી આપી હોવા છતાં શનિ આરોપીની દીકરીના સંપર્કમાં રહ્યો હતો. લગભગ એક વર્ષ પહેલા આરોપીની દીકરીના લગ્ન બીજા યુવક સાથે થયા હતા. જોકે, આ પછી પણ યુવતીએ શનિ સાથે સંપર્ક જાળવી રાખ્યો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે યુવતીના સાસરિયામાં જાણ થતાં યુવતીને પોતાના પિયરમાં મોકલી દીધી હતી. જેને લઈને યુવતીના પિતા જયેશ ગુસ્સે ભરાયા હતા અને અન્ય સંબંધીઓ સાથે મળીને બદલો લેવા માટે ફરિયાદી શનિનું અપહરણ કર્યું હતું.
પોલીસે કરી 5 આરોપીની ધરપકડ
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સાણંદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો. સાણંદ પોલીસે અમદાવાદ ગ્રામીણ પોલીસની મદદથી આરોપીઓને શોધવા માટે ટીમ બનાવી અને ટેકનિકલ દેખરેખ તથા ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને ટૂંક સમયમાં પાંચેય આરોપીઓની ધરપકડ કરી, તેમજ ગુનામાં વપરાયેલ વાહન અને હથિયારો બંને જપ્ત કર્યા.